2 કરોડની ખંડણી કેસમાં નલીન કોટડિયા બાદ ખુલ્યા નવા નામ
ધારીના ધારાસભ્ય તેવા નલીન કોટડિયા હંમેશા વિવાદોથી ધેરાયેલા રહે છે. આ પહેલા પણ પાટીદાર અનામત આંદોલનમાં તેમની સક્રિયતાના અને તેજાબી ભાષણોના કારણે તે ચર્ચામાં રહેતા હતા પણ વસ્ત્રાપુરના એક વેપારી પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી અને મારામારીનો વીડિયો વાયરલ થતા તે ફરી નવા વિવાદમાં ફસાયા છે. સાથે જ હવે આ કેસમાં કેટલાક બીજા લોકોના નામ પણ બહાર નીકળતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.
નલીન કોટડિયા પછી આ કેસમાં ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલ અને નલીન કોટડિયાની વચ્ચે થયેલી ફોનની વાતચીતનું રેકોર્ડિંગ સોશ્યલ મીડિયા પર વાયરલ થયું છે. જેણે નવા વિવાદો ઊભો કર્યા છે. ત્યારે આ સમગ્ર મુદ્દો શું છે તે વિષે વિગતવાર જાણો અહીં...
શું છે કેસ?
ધારીના ધારાસભ્ય તેવા નલીન કોટડિયા પર ખંડણી અને મારામારીનો આરોપ લગાવામાં આવ્યો છે. વસ્ત્રાપુરના મધુભાઇ પટેલ નલીનભાઇ સામે તેમની ઓફિસમાં ધૂસી જઇ તેમની સાથે મારમારી કરી 2 કરોડની ખંડણીની માંગ તથા જાનથી મારવાની ધમકીનો આરોપ લગાવ્યો છે. અને આ અંગે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
નલીન કોટડિયાની સ્પષ્ટતા
જો કે આ મુદ્દે ફરિયાદ નોંધાતા અને વીડિયો વાયરલ થતા નલીન કોટડિયાએ આ સમગ્ર ધટનાને એક કાવતરું ગણાવ્યું છે અને કહ્યું છે કે તે પાટીદાર અનામત આંદોલન ચલાવી રહ્યા છે તે માટે તેમની વિરુદ્ધ આ કાવતરું કરી તેમને ફસાવવામાં આવી રહ્યા છે.
નલીનભાઇ અને સુરેન્દ્ર પટેલ
સોશ્યલ મીડિયામાં હાલમાં જ નલીનભાઇ અને સુરેન્દ્ર પટેલ વચ્ચે થયેલી ફોન વાતચીત વાયરલ થઇ છે જેમાં જે જમીન મામલે ઘટના બની છે તેના NAના કામ માટે ખોડલધામ ટ્રસ્ટની ભલામણથી કોઇ "બેને" કરાવી આપવાની વાત કરવામાં આવી છે.
ગુજરાત રાજકારણમાં ખળભળાટ
ત્યારે હાલ તો આ સમગ્ર પ્રકરણે આવનારા દિવસોમાં વધુ નવા નામ અને વધુ નવા વિવાદ બહાર આવશે તે વાત સ્પષ્ટ છે.