વાંકાનેર: ઉદ્યોગપતિને ખંડણીની ધમકી મળતા કલેક્ટરને આવેદનપત્ર
વાંકાનેરના સિરામિક ઉદ્યોગપતિ પ્રજ્ઞેશ પટેલને ફોન પર કોઈ અજાણ્યા શખ્સે 20 લાખની ખંડણી માંગીને ધમકી આપી હતી. આ ઘટના સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
ખંડણીખોરો નીડર થઇને ઉદ્યોગપતિઓને ધમકી આપતા હોવાની ઘટના સામે આવી છે. મોરબી નજીક સિરામિકનું હબ ગણાતા વાંકાનેરમાં આ ઘટના બની હતી. ઘટના એવી હતી કે, વાંકાનેરના સિરામિક ઉદ્યોગપતિ પ્રજ્ઞેશ પટેલને ફોન પર કોઈ અજાણ્યા શખ્સે 20 લાખની ખંડણી માંગીને ધમકી આપી હતી. આ ઘટના સંદર્ભે વાંકાનેર સિરામિક એસો.ની આગેવાનીમાં વિવિધ સંસ્થાઓને સાથે રાખીને સિરામિક ઉદ્યોગપતિઓએ જીલ્લા કલેકટરને લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને ઉદ્યોગપતિને 20 લાખની ખંડણી માટે ગુંડા તત્વોના સરદાર એવા ભારૂભા ગઢવી દ્વારા ખૂનની ધમકી મળી છે અને આ ઘટના બતાવે છે કે, ગુંડા તત્વો રાજ્યમાં કેટલા રીઢા બની ગયા છે. આવેદન આપવા આવેલા સમૂહે માંગ કરી હતી કે આવા તત્વોની ધરપકડ થાય અને તેમની સાથે બીજા કોણ સમાજના દુશ્મનો સંકળાયેલા છે તેની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત જો માંગણી ન સંતોષાય તો ઉદ્યોગપતિઓએ આંદોલન ઉપરાંત વાંકાનેર બંધ જેવા ગાંધી ચિધ્યા માર્ગે જવાની તથા ગાંધીનગર સુધી લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.