રાષ્ટ્રપતિ પાસે હજી પણ 16 દોષિતોની દયાઅરજી પેન્ડિંગ!

રાષ્ટ્રપતિના કાર્યાલય અનુસાર હાલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પાસે કુલ 16 લોકોની ફાંસી અંગેની દયાઅરજીઓ પેન્ડિંગ છે. આ 16 અરજીઓ પર હજી નિર્ણય લેવાનો બાકી છે. જે 16 ગુનેગારોએ ફાંસીની સજામાંથી દયા કરીને મુક્તિ કે રાહત મેળવવા માટે અરજી કરી છે તેમાં 13 ડિસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ ભવન પર હુમલો કરવા બદલ દોષિત ઠરેલા અને ફાંસીની સજા મેળવનારા મોહમ્મદ અફઝલ ગુરૂની અરજીનો પણ સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પાસે જે 16 દોષિતોની દયાઅરજીઓ પેન્ડિંગ છે તેમની વિગતો આ મુજબ છે...
મોહમ્મદ અફઝલ ગુરૂ :
ભારતીય સંસદ પર હુમલો કરવાના ગુનાહમાં મોહમ્મદ અફઝલ ગુરૂ દોષિત છે. આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. સુપ્રીમ કોર્ટે તેના કેસમાં 4 ઑગસ્ટ, 2005ના રોજ ફાંસીની સજા ફરમાવી હતી. ગયા વર્ષે ઑગસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દયાની અરજી ફગાવતા તેણે રાષ્ટ્રપતિને અરજી મોકલી આપી હતી.
ધર્મપાલ :
રાષ્ટ્રપતિ પાસે હાલમાં જેટલી દયાઅરજીઓ છે તેમાં ધર્મપાલની અરજી સૌથી જૂની છે. બળાત્કારના એક કેસમાં જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે એક જ પરિવારના પાંચ સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
સોનિયા અને રાજીવ :
સંપત્તિ માટે સોનિયા અને રાજીવે પોતાના જ પરિવારના 8 સભ્યોની હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે વર્ષ 2007માં બંનેની ફાંસીની સજાને મંજૂર રાખી હતી. આ વર્ષે ગૃહ મંત્રાલયે તેમની દયાની અરજીને ફગાવી દીધી હતી.
ગુરમીત સિંહ :
પોતાના પરિવારના જ 13 લોકોની હત્યા કરવાના ગુનાહમાં દોષિત ગુરમીત સિંહને વર્ષ 2005માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી. વર્ષ 2009માં ગૃહ મંત્રાલયે તેમની દયાઅરજીને નકારી હતી.
સાઇમન, ગણાપ્રકાશ, મદાએ અને બિલવાંદ્ર :
આ ચાર લોકો ખાણમાં વિસ્ફોટ કરીને કર્ણાટકના 22 પોલીસ કર્મીઓની હત્યા કરી હોવાના ગુનામાં દોષિત છે. વર્ષ 2004માં સુપ્રીમ કોર્ટે તેમને ફાંસીની સજા ફરમાવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની દયાઅરજીને ગયા મે 2011માં રાષ્ટ્રપતિને મોકલી આપી હતી.
સુરેશ અને રામજી :
સંપત્તિના મુદ્દે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવા માટે વર્ષ 2001માં બંનેને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2011માં ગૃહ મંત્રાલયે તેમની અરજી રાષ્ટ્રપતિને મોકલી આપી હતી.
પ્રવીણ કુમાર :
એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવા માટે સુપ્રીમ કોર્ટે વર્ષ 2003માં પ્રવીણ કુમારને ગુનેગાર ઠેરવ્યા હતા. પાછલા વર્ષે ગૃહ મંત્રાલયે તેમની દયાઅરજી નકારીને રાષ્ટ્રપતિ પાસે મોકલી આપી હતી.
સાઇબન્ના નિંગપ્પા નાટિકર :
તેણે પોતાની પત્ની અને દીકરીની હત્યા કરી હતી. વર્ષ 2004માં સુપ્રીમ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. ત્યાર બાદ સપ્ટેમ્બર 2011માં તેમણે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી.
ઝાફર અલી :
તેણે પોતાની પત્ની ઉપરાંત પાંચ દીકરીઓની હત્યા કરી હતી. વર્ષ 2004માં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ નવેમ્બર 2011માં રાષ્ટ્રપતિને દયાઅરજી મોકલી હતી.
સુંદર સિંહ :
વર્ષ 2010માં પોતાના ભાઇના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવા માટે દોષિત ઠરેલા સુંદરની દયા અરજી આ ફેબ્રુઆરી 2012માં ગૃહ મંત્રાલયે નકારીને રાષ્ટ્રપતિને મોકલી આપી હતી.
અતબીર :
તેણે પોતાની સાવકી માતા, ભાઇ અને બહેનની હત્યા કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી તેની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે.












Click it and Unblock the Notifications
