કર્ણાટકમાં ભાજપાની રેલીમાં ભાગ નહીં લે આડવાણી અને મોદી!
બેંગલોર, 7 એપ્રિલ: કર્ણાટકમાં ચૂંટણીના પગલે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની રેલીમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજરી નહીં આપેવા સમાચાર મળી રહ્યા છે. જોકે ભાજપાએ આ અંગે કોઇ કારણ જણાવ્યું નથી કે બંને નેતા પાર્ટીની આ રેલીમાં શા માટે હાજરી નહી આપે.
કર્ણાટક બીજેપીના નેતા અત્યાર સુધી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા કે રેલીમાં આડવાણી અને નરેન્દ્ર મોદી હાજરી આપશે, પરંતુ પાર્ટીના મહાસચિવ અને બેંગલુરુ દક્ષિણ લોકસભા ક્ષેત્રમાંથી સાંસદ એચ.એન. અનંત કુમારે શુક્રવારે નવી દિલ્હીમાં રેલીને સંબોધીત કરનારા જે નેતાઓની સૂચિ જારી કરી હતી તેમાં, લાલકૃષ્ણ આડવાણી અને મોદીના નામ બાકાત રખાયા છે.
પક્ષની પહેલી સંસદીય બેઠકમાં મોદીની ગેરહાજરી અને પછી કર્ણાટકમાં રેલીને સંબોધિત કરનારાઓમાં તેમનું નામ નહીં હોવાથી એવી રાજનૈતિક અટકળોને બળ મળી રહ્યું છે કે ભ્રષ્ટાચારના આરોપો, અસંતુષ્ટો તથા ઘણા મહત્વના નેતાઓનું પાર્ટી છોડવું તથા પાર્ટીની રાજ્યમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખતા નરેન્દ્ર મોદી સીધીરીતે કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં જોડાવવા નથી માંગતા.
આ પ્રકારની અફવાઓને વધુ બળ મળ્યું જ્યારે મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે જણાવ્યું કે મોદી કર્ણાટકના પાંચ જિલ્લાઓમાં ચૂંટણી જનસભાઓનું સંબોધન કરશે, જ્યારે રાજ્યમાં 30 જિલ્લા છે. જોકે જગદીશ શેટ્ટારે એ પાંચ જિલ્લાઓના નામ જાહેર કર્યા નહીં.