ગોલ્ડમેન બાદ હવે જાપાની કંપનીને દેખાઇ 'મોદીની લહેર'
મુંબઇ, 28 નવેમ્બર: ગોલ્ડમેન સેશ બાદ હવે વધુ એક વિદેશી બ્રોકરેજ કંપની નોમુરાને ભારતમાં નરેન્દ્ર મોદીની લહેર દેખાઇ છે. બ્રોકરેજ કંપનીએ આવનારા વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની આશા વ્યક્ત કરી છે.
જાપાની બ્રોકરેજ કંપનીમાં રાજનૈતિક વિશ્લેષક એલેસ્ટેયર ન્યૂટને બુધવારે એક નોટમાં જણાવ્યું કે 'નોમુરાને આશા છે કે 2014ની ચૂંટણી બાદ કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર બનશે.' જોકે ન્યૂટને પોતાના આ નિવેદનને થોડું હળવું કરતા એવું કહ્યું કે ભાજપ અથવા કોંગ્રેસ કોઇના પણ વડપણ હેઠળ સરકાર બને, એક સ્થિર સરકાર જ વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવી શકે છે.
નોમુરા ઇન્ડિયાની પ્રમુખ અર્થશાસ્ત્રી સોનલ વર્માએ જણાવ્યું કે 'રાજનૈતિક સ્થિરતા સ્થાપિત થવાની સાથે જ અમારુ માનવું છે કે મંત્રિમંડળની રોકાણ સમિતિ દ્વારા પૂર્વમાં મંજૂર કરવામાં આવેલી રોકાણ પરિયોજનાઓને ચાલુ કરી શકાશે. આનાથી હાલની રોકાણ પરિયાજનાઓનો માર્ગ મોકળો થશે.'
ગોલ્ડમેને એવું જણાવ્યું હતું કે બજારમાં હાલની તેજીનું કારણ મોદીનો પ્રભાવ છે અને તેણે ડિસેમ્બર 2013 સુધી સેન્સેક્સ 23,000 સુધી પહોંચવાનું અનુમાન લગાવ્યું હતું. નોમુરાની સોનલે જણાવ્યું કે લાંબાગાળાના રોકાણનો નિર્ણય કરનાર કંપનીઓ માટે રાજનૈતિક સ્થિરતા તથા નીતિની વિશ્વનિયતા જરૂરી હોય છે.