ઉદ્ધવ ઠાકરેનું શરમજનક નિવેદન: કિન્નર સાથે રક્ષા મંત્રી એકે એંટનીની કરી તુલના
મુંબઇ, 28 ફેબ્રુઆરી: દેશના વિકાસની માર્ગે લાવવાનો દાવો કરનાર નેતા જે પ્રકારે શબ્દપ્રયોગની તમામ હદો પાર કરી રહ્યાં છે તેનાથી સ્પષ્ટ થાય છે કે લોકસભાની ચૂંટણી એકદમ નજીક છે. તાજેતરમાં જ સલમાન ખુર્શીદના નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આપેલા 'નપુંસક'વાળા નિવેદનનો મુદ્દો શાંત પડ્યો નથી કે શિવસેનાએ રક્ષા મંત્રી એકે એંટની વિરૂદ્ધ એકદમ હલકીકક્ષાનું, શરમજનક અને વાંધાજનક નિવેદન આપ્યું છે. આઇએનએસ સિંધુરત્ન સબમરીન અકસ્માતને લઇને ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીના મુખપત્ર સામનામાં એક એંટની પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સામનાના એડિટોરિયલમાં લખ્યું છે કે ભારતના રક્ષા વિભાગને ઉધઇ લાગી ગઇ છે.
સમુદ્રમાં સબમરીન આગમાં ખાખ થઇ છે કે પછી ડૂબી રહી છે. વાયુસેના વિભાગના લડાકૂ મિગ વિમાન ધારાશય થઇ રહ્યાં છે. બોર્ડર પર સૈનિકોના માથા કાપીને પાકિસ્તાન લઇ જાય છે. તેમછતાં દેશના રક્ષામંત્રી અને તેમના લોકો હિજડાની માફક બેસ્યાં છે. સામનામાં લખવામાં આવ્યું છે કે ગત કેટલાક મહિનાથી નૌસેનાને અકસ્માતનું ગ્રહણ લાગી રહ્યું છે. જેના લીધે આ વિભાગને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે. ભારતીય આર્મીની આ પ્રકારની દુર્દશાને જોતાં પડોશી દુશ્મન રાષ્ટ્ર અટ્ટાહાસ્ય કરી રહ્યું છે કારણ કે કોઇપણ પ્રકારે યુદ્ધ વિના ભારતીય સેના નષ્ટ થઇ રહી છે.
તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં સિંધુરત્ન સબમરીનમાં એક ગેસ લિકેજ થયો હતો જેમાં 7 નૌસેનાના અધિકારી બેભાન થઇ ગયા અને બે અધિકારીઓના મોત નિપજ્યા છે. આ અકસ્માતની નૈતિક જવાબદારી લેતાં નૌસેના પ્રમુખ ડીકે જોશીએ તાત્કાલિક રાજીનામું આપી દિધું. નિષ્ક્રિય રક્ષા મંત્રીએ તેને સ્વિકારી પણ લીધું. અત્રે ઉલ્લેખનીય છે કે એડમિરલ જોશીના કાર્યકાળ દરમિયાન નૌસેનામાં સૌથી વધુ અકસ્માત થયા. એકે એંટની પર હુમલા ચાલુ રાખતાં ઉદ્ધવ ઠાકરેએ લખ્યું કે 'ભારતના રક્ષા વિભાગે બંદૂક તથા તોપગોળાનું ઉત્પાદન બંધ કરવા લાગે છે કે હવે ફેવિકોલનું ઉત્પાદન શરૂ થઇ ગયું છે. કારણ કે આટલા બધુ થયા બાદ પણ રક્ષા મંત્રી ખુરશી સાથે મજબૂત રીતે ચોંટેલા છે. આ કોનો કમાલ છે!