એક મંચ પર દેખાશે અણ્ણા અને અરવિંદ!
પોલિટિકલ પાર્ટી બનાવ્યા બાદ તેમની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે સમાજસેવક અણ્ણા હજારે 23 માર્ચે શરૂ થઇ રહેલા અરવિંદ કેજરીવાલના અનિશ્ચિતકાળના અનશનનો સાથ આપવા માટે તૈયાર થઇ ગયા છે અને તેમને સાથ આપવા માટે તેમના મંચ પણ આવી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં વિજળી અને પાણીના વધતા ભાવોને લઇને અરવિંદ કેજરીવાલ દિલ્હી સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે. સરકાર વિરુદ્ધ પોતાનો રોષ પ્રગટ કરવા માટે અરવિંદ પણ અણ્ણાના માર્ગે ચાલી રહ્યાં છે. સરકાર પર દબાણ વધાવવા માટે કેજરીવાલ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ કરવાના છે.
અરવિંદના આ અનશન દરમિયાન સમાજસેવક અણ્ણા હજારે પણ સામેલ થવાના સમાચાર છે. માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના બેનર હેઠળ થઇ રહેલા ભૂખ હડતાળમાં અણ્ણા પણ એક દિવસના અનશન કરી શકે છે. અણ્ણાના એક દિવસના આ અનશન કેજરીવાલની લડાઇ માટે સંજીવની બૂટી સાબિત થઇ શકે છે. અણ્ણાએ ભલે કેજરીવાલને અનશનમાં આવવાનો વિશ્વાસ આપ્યો હોય, પરંતુ તેમણે એ સ્પષ્ટ કરી દીધું છે કે સમર્થન પાર્ટીને નહીં પરંતુ અરવિંદ કેજરીવાલને છે.
અરવિંદ કેજરીવાલનું રાજકારણમાં આવવું અને રાજકિય પાર્ટી બનાવ્યા બાદ અણ્ણા અને કેજરીવાલ વચ્ચે તણાવ આવી ગયો હતો અને બન્ને અલગ થઇ ગયા હતા, પરંતુ અનશનના બહાને બન્ને વચ્ચે ફરીથી નિકટતા વધવા લાગી છે. બન્ને વચ્ચેનો ખટરાગ ઓછો થવાથી આમ આદમીના કાર્યકર્તા ઘણા જ ઉત્સાહિત છે. તેમના મતે આ એક સકારાત્મક વાત છે અને તેનાથી તેમનો જુસ્સો વધ્યો છે. અણ્ણા અને અરવિંદ વચ્ચેનું અંતર ઘટતા સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.