કોઇ ચા પીવડાવી દે એટલે તેને વોટ ના આપી દેતા: અણ્ણા હઝારે
રાલેગણ સિદ્ધી, 13 ફેબ્રુઆરી: સામાડિક કાર્યકર્તા અણ્ણા હઝારેનું કહેવું છે કે મમતા બેનર્જી જો વડાપ્રધાન બનશે તો તેમને વિશ્વાસ છે કે ભ્રષ્ટાચાર રોકાઇ જશે. અણ્ણાએ નરેન્દ્ર મોદીની 'ચાય પે ચર્ચા' કાર્યક્રમ પર નિશાનો સાધતા જણાવ્યું છે કે દારૂની બોટલ લઇને અથવા તો કોઇ ચા પીવડાવી દે તો તેમને વોટ આપી દેવો યોગ્ય નથી.
અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલના જનલોકપાલ બિલને પોતાનું સમર્થન આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર કહે છે કે મને પૂછવું પડશે, ઉપ-રાજ્યપાલ કહે છે કે મને પૂછવું પડશે, અને આપ પાર્ટી કહે છે કે કોઇને પૂછવાની જરૂરિયાત નથી. મને નથી ખબર કે આ મામલામાં કાયદો શું કહે છે પરંતુ જે બિલ તેઓ લાવી રહ્યા છે તે સારું છે.
અણ્ણાએ જણાવ્યું કે મમતા બેનર્જી જમીન પર કામ કરનારી મુખ્યમંત્રી છે. તેમની ત્યાગની ભાવના મને મહત્વપૂર્ણ લાગી. આવામાં દેશનું નેતૃત્વ તે કરે તો વ્યવસ્થા પરિવર્તન થઇ શકે છે. મમતાએ મને પત્ર લખ્યો છે કે આ મુદ્દો તેમના એજન્ડામાં પહેલાથી જ છે, હવે નિર્ણય જનતાને કરવાનો છે. મને વિશ્વાસ છે કે જો મમતા બેનર્જી વડાપ્રધાન બનશે તો ભ્રષ્ટાચાર થંભી જશે.