દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ પાસ ના થયું, કેજરીવાલનું રાજીનામું
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. અરવિંદ કેજરીવાલે પોતાનું રાજીનામું એટલા માટે આપી દીધું છે કારણ કે આજે દિલ્હીની વિધાનસભામાં જનલોકપાલ બિલ પાસ થઇ શક્યું નહીં.
દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ વિરુધ્ધ 41 મત આવવાના કારણે જનલોકપાલ બિલ પાસ થઇ શક્યું નહીં અને અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીની બેઠક બાદ પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી.
અરવિંદ કેજરીવાલે પોતાના પાર્ટીના કાર્યાલયથી જાહેરમાં લોકોનું સંબોધન કરતા પોતાના રાજીનામાની કોપી બતાવીને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. અને તેમણે જણાવ્યું કે હું સંવિધાન માટે મારા પ્રાણ ન્યોછાવર કરવા માટે તૈયાર છું. અને હજાર વખત મુખ્યમંત્રીના પદનો ત્યાગ કરવા તૈયાર છું.
સૂત્રો દ્વારા મળતા સમાચાર અનુસાર કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ પર પ્રહારો કર્યા, તેમણે જણાવ્યું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પાસે આટલા રૂપિયા ક્યાંથી આવે છે. આ ઉપરાંત તેમણે જાહેરમાં જણાવ્યું કે તેમણે વિધાનસભા તુરંત ભંગ કરવાની માંગ કરી અને દિલ્હીમાં તુરંત ચૂંટણી કરાવવાની માંગ કરી છે.