કાર્યકરો માત્ર મોદી મેજિક પર આધાર ના રાખે : અમિત શાહ
મુંબઇ, 6 સપ્ટેમ્બર : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુંબઇ મુલાકાત બાદ હવે સ્પષ્ટ થઇ રહ્યું છે કે દેશમાં મોદી મેજિક પર પૂર્ણ દરોમદાર રાખવો હિતાવહ નથી. કાર્યકરોને સલાહ આપી છે કે તેઓ સ્થાનિક મુદ્દાઓ અને મુખ્ય પાર્ટીઓના આટલા વર્ષોના કૌભાંડોને પણ જનતા સમક્ષ લાવે.
પોતાની મુંબઇ મુલાકાતમાં અમિત શાહે ભાજપના મહારાષ્ટ્ર એકમના નેતાઓને સલાહ આપી હતી કે તેઓ સત્તારૂઢ કોંગ્રેસ અને એનસીપીના 15 વર્ષના કુશાસનને જનતા સામે ઉઘાડું પાડે. કારણ કે ચૂંટણી પ્રચારને માત્ર મોદી મેજિકના આધારે જીતી શકાશે તેવો ભરોસો રાખવો નહીં.
ભાજપ માટે રાહતના સમાચાર એ છે કે અમિત શાહ અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે વચ્ચેની મુલાકાત બાદ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મતભેદ અને ખેંચતાણ ઘટી રહી હોવાના સંકેત મળી રહ્યા છે.
આ મુદ્દે શિવસેનાના નેતાએ જણાવ્યું કે બંને પાર્ટીઓના ઉમેદવારોની પહેલી સંયુક્ત યાદી આગામી સપ્તાહે આવશે. આ સાથે જ ભાજપ અને એમએનએસના ગઠબંધનની સંભાવના ખતમ થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર ભાજપની કોર કમિટીના નેતાઓની સાથે બેઠકમાં અમિત શાહે જણાવ્યું હતું કે'જે મોદી લહેરના દમ પર પક્ષ રાજ્યની 48માંથી 23 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી હતી તે હવે કમજોર થઈ શકે છે. કારણ કે જનતાનો વિચાર સમયાંતરે બદલાતો રહે છે.'
અમિત શાહ આગામી બે સપ્તાહ સુધી સમગ્ર રાજ્યનો પ્રવાસ કરવાના છે. જેથી રાજ્યમાં કોંગ્રેસ અને એનસીપી વિરૂદ્ધ માહોલ બનાવી શકાય અને ભાજપ - શિવસેના યુતિને મજબુત બનાવી શકાય.
ભાજપના નેતા વિનોદ તાવડેના ઘરે જ કોર કમિટીની બેઠક યોજાઇ હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા ઓમ પ્રકાશ માથુરને રાજ્યમાં ચૂંટણી નિરીક્ષક બનાવાયા છે. માથુરને મોદી અને અમિત શાહ બંનેના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.