કોમી હિંસા વિરોધી બિલ પર ઝૂકી સરકાર, કર્યા મહત્વના ફેરફાર
નવી દિલ્હી, 6 ડિસેમ્બર: ચોતરફી વિરોધ બાદ સરકારે વિવાદિત કોમી હિંસા વિરોધી બિલ માં મહત્વના ફેરફાર કર્યા છે. નવા પ્રાવધાનો અંતર્ગત હવે રમખાણ માટે હવે બહુમતીઓને જ જવાબદાર નહીં ઠેરવામાં આવે. સાથે જ રાજ્ય સરકારની ભલામણ બાદ જ કેન્દ્રીય દળોને રમખાણ ગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવશે. ભાજપ સહિત તમામ રાજનૈતિક દળો આ બિલને સંઘીય માળખા પર હુમલો ગણાવતા વિરોધ કરી રહ્યા હતા. જોકે સરકારે પહેલા જ જણાવ્યું હતું કે તેઓ સૌવની ઇચ્છા બાદ જ બિલ રજૂ કરશે. સરકાર સંસદના હાલના શિયાળુ સત્રમાં આ બિલને રજૂ કરવા ઇચ્છે છે.
સૂત્રો અનુસાર સરકારે આ બિલના ડ્રાફ્ટમાં કેટલાંક મહત્વના ફેરફારકર્યા છે. હાલના શિયાળુ સત્રમાં રજૂ થવાની સંભાવનાવાળા આ બિલમાં પહેલા કોમી હિંસા માટે બહુમતીઓને જવાબદાર ઠેરવવાની વાત હતી, પરંતુ હવે સમુદાય નિરપેક્ષ બનાવી દેવામાં આવ્યો છે. એટલે કે માત્ર બહુમતીઓને જ જવાબદાર ઠેરવામાં આવશે નહીં. પહેલા રમખાણ થવાના પગલે કેન્દ્ર સીધો હસ્તક્ષેપ કરી સુરક્ષા દળોને મોકલી શકતો, પરંતુ હવે ડીએમ અને એસપીના કહેવા પર જ આવું કરી શકાશે.
નવા પ્રાવધાન અનુસાર જો આ વાત સામે આવે છે કે ડીએમ અને એસપીએ રમખાણ રોકી શકતા હતા, પરંતુ તેમણે રોક્યા નહીં, ત્યારે બંનેની સામે કાર્યવાહી થશે. સ્વાભાવિક છે કે આ ફેરફારો દ્વારા સરકારે વિપક્ષના વિરોધને ખત્મ કરવાનો પ્રયત્ન કર્યો છે. આનો સંકેત વડાપ્રધાને પોતે ગુરુવારે આપ્યો હતો.
જોકે મહત્વના ફેરફારો બાદ પણ ભાજપનો વિરોધ ઓછો નથી થયો. તે આ બિલને એક ગેરકાયદેસર બિલ ગણાવી રહી છે. પરંતુ પરિવર્તનો છતા સીપીએમ, અને ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવા વિરોધીઓનો સૂર બદલાઇ શકે છે જે રાજ્યોના અધિકારનો સવાલ ઉઠાવીને બિલનો વિરોધ કરી રહ્યા હતા.