યેદીયુરપ્પા ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા
બેંગલુરુ, 9 જાન્યુઆરી: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી વીએસ યેદીયુરપ્પા ઔપચારિક રીતે ગુરુવારે પાછા ભાજપમાં જોડાઇ ગયા છે. યેદીયુરપ્પાએ લગભગ એક વર્ષ પહેલા ભાજપ છોડીને પોતાની અલગ પાર્ટી બનાવી લીધી હતી. યેદીયુરપ્પા હવે પોતાના સમર્થકોની સાથે ભાજપ પ્રદેશ મુખ્યાલયમાં પહોંચ્યા તો ભાજપ કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ પ્રહલાદ જોશી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. તેમણે એક કાર્યક્રમમાં પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ આપવામાં આવ્યું જેમાં પાર્ટીના કોઇ પણ રાષ્ટ્રીય નેતા હાજર ન્હોતા.
યેદીયુરપ્પાએ જણાવ્યું કે આપણે અતિતને ભૂલાવીને એક માતાની સંતાન તરીકે કાર્ય કરવું જોઇએ. તેમણે એક સપ્તાહ પહેલા પોતાની પાર્ટી કર્ણાટક જનતા પક્ષને ભાજપાની સાથે વિલય કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આપણા કેટલાંક ખોટા નિર્ણયોના પગલે એક ખૂણામાં ફેંકાયેલી કોંગ્રેસ ફરીથી સત્તામાં પાછી આવી ગઇ. તેમણે જણાવ્યું કે અમે કોંગ્રેસને આ તક આપીને અક્ષમ્ય ગુનો કર્યો છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ નેતૃત્વની કંગાલીનો સામનો કરી રહ્યું છે અને દેશની અપાર ઇચ્છા છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને.
તેમણે જણાવ્યું કે પાર્ટીની કર્ણાટકમાં 20થી વધારે બેઠકો પર જીત નોંધાવવાનું લક્ષ્ય નક્કી કરવું જોઇએ. ભાજપાએ છેલ્લા લોકસભા ચૂંટણીમાં 18 બેઠકો પર જીત હાસલ કરી હતી. તેમણે જણાવ્યું કે પાર્ટીને લોકસભા ચૂંટણી માટે જનતાની પાસે જઇને એ કહેવું જોઇએ કે અમારી ભૂલોને માફ કરે. અમે આવી ભૂલો ફરી નહીં કરીએ.
ભાજપને આશા છે કે યેદીયુરપ્પાની બિનશરતી વાપસીથી તેમનું નસીબ ચમકી ઉઠશે. અત્રે ઉલ્લેખનીય છે કે યેદીયુરપ્પાએ ડિસેમ્બર 2012ના રોજ પાર્ટીના ચાર દાયકા જૂના સંબંધને તોડીને પોતાને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાના કારણે કેન્દ્રીય નેતૃત્વની વિરુધ્ધ ચાબખા માર્યા હતા. ત્યારબાદ સદાનંદ ગૌડા મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ શેટ્ટાર મુખ્યમંત્રી બન્યા. અને યેદીયુરપ્પાએ પોતાની અલગ પાર્ટી કેજેપીની રચના કરીને લોકોની ઊંઘ ઉડાવી દીધી હતી.