મોદીની તુલના શીલા દીક્ષિત સાથે થવી જોઇએ: દિગ્વિજય
ભોપાલમાં પત્રકારો સાથે વાતચીત કરી રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા જણાવ્યું કે મોદીને મહિલા કેન્દ્રીત કરવામાં આવી રહ્યા છે. વિકાસના ચાર-પાંચ માપદંડ હોય છે. ગુજરાતમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની ખરાબ હાલત છે, દેશમાં સૌથી વધારે કુપોષણ ગુજરાતમાં છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મોદીએ ગુજરાત માટે શું કર્યું છે તેને કેટલીક વાતોથી સમજી શકાય છે. વર્ષ 2002માં ગુજરાત પર 40 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું જે વધીને એક લાખ 72 હજાર રૂપિયા થઇ ગયા છે. યોજનાઓનો લાભ ગરીબોને નહી, મોટાઓને મળી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીની તુલના રાહુલ ગાંધી સાથે નહીં પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી શીલા દીક્ષિત, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, તરુણ ગોગોઇ સાથે કરવી જોઇએ જેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. મોટી મોટી વાતો કરનાર મોદી જણાવે કે તેમણે ગુજરાત સીવાય બીજું જોયું જ શું છે? કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ વિકિલીક્સ દ્વારા કરવામાં આવેલા ખુલાસા અંગે પૂછવામાં આવતા તેમણે તેના દસ્તાવેજ અને સત્યતા પર સવાલ ઉઠાવ્યા હતા.