નરેન્દ્ર મોદીને PM પદના ઉમેદવાર બનાવો, JDUને જોઇ લેવાશે : યશવંત સિંહા
યશવંત સિંહાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "અમે જ્યાં પણ જઇએ છીએ ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી 2014 માટે પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગણી કરવામાં આવી રહી છે. જેના કારણે લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર તરીકે ભાજપે આગળ કરવા જોઇએ. જ્યાં સુધી સાથી પક્ષ જેડીયુનો પ્રશ્ન છે એ પછીથી જોઇ લેવામાં આવશે. મોદીને ટોચના પદ માટે અત્યારથી ઉમેદવાર ઘોષિત કરવાથી પાર્ટીને લાભ થશે"
ઉલ્લેખનીય છે કે હજી ગઇકાલે 27 જાન્યુઆરી, 2013 રવિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આખા દિવસની દિલ્હી મુલાકાતે ગયા હતા. જેમાં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે લોકસભા ચૂંટણી 2014 અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેઓ અરૂણ જેટલીને પણ મળ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમના બીજા દિવસે યશવંત સિંહાએ આપેલા નિવેદનને રાજકીય વિશ્લેષકો આગામી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા નિશ્ચિતપણે મહત્વની બની રહેશે એમ માની રહ્યા છે.
જેડીયુના અગ્રણી નેતા શિવાનંદ તિવારીએ આ મુદ્દો પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે "સિંહાનું વ્યક્તિગત નિવેદન છે, જેડીયુએ શું કરવું તેનો નિર્ણય પક્ષ લેશે. જેડીયુ ઇચ્છે તો એનડીએમાંથી અલગ પણ થઇ શકે છે. યશવંત સિંહાએ સલાહ આપવાની જરૂર નથી. આ મુદ્દે નીતિશકુમારે પોતાનું મંતવ્ય ભાજપને કહી દીધું છે. જ્યારે ભાજપ આ મુદ્દે બોલશે ત્યાપે જેડીયુ પોતાની પ્રતિક્રિયા આપશે. તેઓ પાર્ટીની અંદર પોતાની વાત કરવા માટે સ્વતંત્ર છે. ભાજપના બધા નેતા જુદા જુદા મંતવ્યો આપે તો જેડુયુ દરેક નામ અંગે પ્રતિક્રિયા આપે તે જરૂરી નથી. એક સમયે યશવંત સિંહાએ પણ કહ્યું હતું કે મારામાં શું કમી છે. તો આવી બાબતોમાં પાર્ટીનો નિર્ણય મહત્વનો છે."