પલાનીસ્વામી બન્યા તમિલનાડુના નવા મુખ્યમંત્રી
તમિલનાડુના રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવે પલાનીસામીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. તેમણે 15 દિવસની અંદર સાબિત કરવાની રહેશે.
અનેક રાજકારણીય ઉહાપોહ બાદ તમિલનાડુને તેમના નવા મુખ્યમંત્રી મળી ગયા છે. રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવે ઇડાપડ્ડી કે.પલાનીસ્વામીને પદ અને ગોપનીયતાની શપથ અપાવી છે. આ પહેલાં રાજ્યપાલ રાવે પલાનીસ્વામીને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. જો કે, તેમણે 15 દિવસની અંદર બહુમત સાબિત કરવાની રહેશે. ગુરૂવારે સાંજે 4.30 વાગ્યે તેમનો શપથ ગ્રહણનો સમારોહ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, પલાનીસ્વામી ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(એઆઇએડીએમકે) મહાસચિવ શશિકલાની પસંદ છે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય શશિકલાની વિરુદ્ધ આવતાં હવે તેઓ આવતા 10 વર્ષ સુધી મુખ્યમંત્રી નહીં બની શકે. એવામાં ધારાસભ્યોના દળે પોતાના નવા નેતા પસંદ કર્યા છે. પલાનીસ્વામી આ પહેલાં તમિલનાડુ રાજ્ય સરકારમાં પીડબલ્યૂડી અને હાઇવે મંત્રી હતા. રાજ્યના ગૌંડાર સમુદાયના છે અને ઇડાપુડ્ડી પલાનીસ્વામી તેમના ક્ષેત્રના ખૂબ સશક્ત નેતા છે.
અહીં વાંચો - તમિલનાડુમાં જ્યારે બે લોકોના ઝગડામાં ત્રીજો ફાવી ગયો..
પલાનીસ્વામીએ આજે સવારે જ રાજ્યપાલ રાવ સાથે મુલાકાત કરી હતી. સાથે જ બુધવારે(15 ફેબ્રુઆરી)ના રોજ મુલાકાત દરમિયાન તેમણે પોતાના સમર્થક ધારાસભ્યોનો પત્ર રાજ્યપાલ રાવને સોંપ્યો હતો.