શિક્ષક ભરતીમાં કૌભાંડઃ હરિયાણાના પૂર્વ સીએમની ધરપકડ
નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ દિલ્હીની એક અદાલતે ત્રણ હજારથી વધુ શિક્ષકોની ગેરકાયદે ભરતી મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા, તેમના પુત્ર અને અન્ય 53 લોકોને દોષી ઠેરવ્યા છે, ચૌટાલાને દોષી ઠેરવવામાં આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીના રોહિણીમાં સીબીઆઇ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય બાદ ચૌટાલાની ધરપકડ કરવામાં આવી. આ મામલે 22 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. તેમને તિહાર જેલમાં મોકલવામાં આવે તેવી શક્યતાઓ સૂત્રો દ્વારા જણાવવામાં આવી છે. નોંધનીય છે કે, જેબીટી શિક્ષકોની ભરતી કૌભાંડ કેસની સુનાવણી 17 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ કોર્ટે ચુકાદો સંભળાવવા માટે આજનો દિવસ પંસદ કર્યો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા 62 લોકોને આરોપી બનાવ્યા હતા પરંતુ ટ્રાયલ દરમિયાન 6 લોકોના મોત નીપજ્યા જ્યારે એકને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
આ ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અને સંસદીય કાર્યમંત્રી રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે, કોર્ટે પોતાનું કામ કર્યું છે અને એ લોકોને ન્યાય મળશે જેમની સાથે ખોટું થયું છે.
ઉલ્લેખનીય છે કે, 1999-2000માં હરિયાણામાં 3206 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. તે સમયે હરિયાણામાં આઇએનએલડીની સરકાર હતી અને ઓમ પ્રકાશ ચૌટાલા રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમના પર એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે નિયમ અને કાયદાને બાજુ પર રાખીને આ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી.