હિમાચલ: કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 9 લોકોના મોત
હિમાચલ: કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 9 લોકોના મોત
શિમલા, 25 જુલાઈ : હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે 9 લોકોનાં મોત થાય છે. આ સાથે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. કિન્નૌર જિલ્લાના બટસેરીના ગુંસા નજીક પથ્થરો પડવા લાગતા પરિસ્થિતિ ભયંકર બની હતી. પર્વતો પરથી પડતા વિશાળ પથ્થરોને કારણે બટસેરી બ્રિજ તૂટી ગયો. આ સાથે નજીકમાં પાર્ક કરેલા વાહનોને સંપૂર્ણપણે નુકસાન થયું હતું.
આ અકસ્માતમાં 9 લોકોના મોત
પર્વતો પરથી પથ્થરો પડી જવાને કારણે તેની નીચે પાર્ક કરેલી કારને નુકસાન થયું હતું. આ કારમાં સવાર 9 લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. કારમાં સવાર પ્રવાસીઓ દિલ્હી અને ચંદીગઢથી હિમાચલની મુલાકાતે આવ્યા હતા.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો
કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનનો એક ચોંકાવનારો LIVE વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિનાશ પહેલાની શાંતિ કેવી છે તે જોઇ શકાય છે. જે બાદ અચાનક પર્વત પરથી મોટા પથ્થરો પડવા માંડે છે અને ધુમાડાના વાદળો માટી સાથે ચારે બાજુ ફેલાવા લાગે છે. પુલ પર મોટો પથ્થર પડતા પુલ પણ તૂટી પડ્યો હતો. નજીકમાં પાર્ક કરેલા વાહનોને પણ ભારે નુકસાન થતું જોઈ શકાય છે.
હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે
આ અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ સ્થળ ઉપર પહોચી હતી. હાલ બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ટ્વીટ કર્યું છે કે, મેં કિન્નૌર જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરી છે અને અકસ્માત વિશે પૂછપરછ કરી છે. વહીવટીતંત્રે સ્થળ પર બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને ત્યાં તાત્કાલિક બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તની ઝડપથી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.