'કોમવાદના મામલામાં મોદી કરતા ઓછા નથી મુલાયમ'
લખનઉ/મેરઠ, 24 સપ્ટેમ્બર: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલી હિંસા બાદ સત્તારૂઢ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ માટે મુસ્લિમ સંગઠન સતત અડચણો પેદા કરી રહ્યું છે.
મુજફ્ફરનગર-શામલીમાં થયેલી હિંસાથી નારાજ ઓલ ઇન્ડિયા તન્જીમ ઉલેમા એ હકના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના એઝાજ કાસમીએ જણાવ્યું છે કે રમખાણો બાદ સપા પ્રમુખનો જે કોમવાદી ચહેરો સામે આવ્યો છે તેઓ નરેન્દ્ર મોદી કરતા ઓછા નથી. કાસમીએ મુલાયમને પત્ર લખીને વર્ષ 2001માં સંસ્થા દ્વારા આપવામાં આવેલ સન્માનને પરત કરવાની માગ કરી છે.
તેમણે જણાવ્યું કે 2001માં સંસ્થાએ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવને સેક્યુલર અને મુસ્લિમ હિતેચ્છું માનતા દિલ્હીમાં કાર્યક્રમનું આયોજન કરીને રામ મનોહર લોહિયા એવોર્ડ પ્રદાન કર્યું હતું, પરંતુ હાલમાં જ થયેલા રમખાણો બાદ સપા પ્રમુખનો જે કોમવાદી ચહેરો સામે આવ્યો છે, તે નરેન્દ્ર મોદીથી કંઇ ઓછો નથી.
કાસમીએ જણાવ્યું કે સંસ્થાએ મુલાયમને પત્ર પાઠવીને 10 દિવસની અંદર તેમના દ્વારા આપવામાં આવેલ સન્માન પરત કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે મુલાયમ અને સપા સરકાર ઉલેમા એ દેવબંદ અને દારૂલ ઉલૂમ માટે પોતાને સમર્પિત ગણાવે છે, પરંતુ આ દેવબંદની સાથે વિશ્વાસઘાત છે. જો સપા સરકારને દારૂલ ઉલૂમ દેવબંદથી કોઇ લગાવ હોત તો દેવબંદ કોઇ મેટ્રોસીટી સમાન વિકસીત હોત. પરંતુ સરકારની લાલિયાવાડીના કારણે આ વિસ્તાર મૂળભૂત અસુવિધાઓથી ભરેલો છે.
આઝમ ખાન પર નિશાનો સાધતા તેમણે જણાવ્યું કે રાજકીય પાર્ટીઓ એવા લોકોને મોટા હોદ્દા પર બેસાડી દે છે જે નામના તો મુસલમાન હોય પરંતુ કામ બીજા માટે કરતા હોય છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નામથી મુસલમાનોને ભયભીત કરવામાં આવી રહ્યા છે. કાસમીએ જોકે એવો દાવો કર્યો કે મોદી કોઇપણ રીતે દેશના વડાપ્રધાન નહીં બની શકે, કારણ કે ભાજપમાં જ મોદીના વિરોધીનો પાર નથી.