ભારત - ચીન વાર્તા સફળ; ચીન વિકાસમાં ભારતને મદદ કરવા તૈયાર
નવી દિલ્હી, 8 જૂન : ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ વચ્ચે દિલ્હીમાં વાતચીત યોજાઇ હતી. ભારતના વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આ વાર્તા સફળ રહી છે. ભારતના વિકાસ માટે ચીન મદદ કરવા માટે તૈયાર છે.
મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે 'ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક ફળદાયી, ઉપયોગી અને મહત્વની રહી છે. સ્પષ્ટ અને સહયોગની દિશામાં બંને દેશોના પ્રતિનિધિઓએ મહત્વના તમામ મુદ્દાઓ ઉઠાવ્યા હતી અને તેના પર સ્પષ્ટ ચર્ચા કરી હતી.' જો કે અકબરુદ્દેની બંને દેશો વચ્ચે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઇ તે અંગે કોઇ વાત કરી ન હતી.
બેઠકમાં ભારતમાં ચીનના રોકાણ અને વિકાસને માટે જરૂરી સહયોગ આપવા માટે સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું હતું. તેમાં માનસરોવર યાત્રાને વધારે સરળ બનાવવા અંગે પણ ચર્ચા થઇ હતી. આ મુદ્દે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વધારે વાતચીત કરવાના છે. ચીનના વિદેશ પ્રધાન સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળવાના છે.
જો કે વાંગ લીની ભારત મુલાકાત દરમિયાન તિબેટિયનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વાંગ લીને મળે ત્યારે ચીન સાથે તિબેટનો મુદ્દે ચોક્કસ ચર્ચા કરે.
આ વિરોધ પ્રદર્શન ઉત્તરદિલ્હીના મજનુ કા ટિલા વિસ્તારમાં થયું હતું. જેમાં મોટી સંખ્યામાં તિબેટિયનો હાજર રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ ચીન વિરોધી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ ઉપરાંત તેમણે ચીન વિરોધી પોસ્ટર્સ પણ પ્રદર્શિત કર્યા હતા. આ પ્રદર્શનમાં 100થી વધારે તિબેટિયનો જોડાયા હતા.
વાંગ યી તેમના દેશના પ્રમુખ શી જિંગપિંગના ખાસ દૂત તરીકે અહીં આવ્યા છે. ગયા મહિને ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન અને પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના સ્પષ્ટ સંકેતો આપી દીધા છે.
મોદીએ ચીની પ્રમુખ શીને આ વર્ષના અંત ભાગમાં ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. આજે સુષ્મા સ્વરાજને મળીને વાંગ યીએ બંને દેશ વચ્ચેના વેપાર તથા સીમા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.