કેરન ઓપરેશન પૂર્ણ; 8 આતંકીઓના શબ મેળવાયા : સેના
શ્રીનગર, 8 ઓક્ટોબર : ભારતીય ભૂમિદળના સેનાધ્યક્ષ જનરલ બિક્રમજીત સિંહે આજે જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં કેરન ઓપરેશન પૂરું થયું છે. આ સેક્ટરમાં એક ષડયંત્ર હેઠળ ઘૂસણખોરી કરવામાં આવી હતી. આ ષડયંત્ર સીમા પાર એટલે કે પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે કોઇ પ્રકારની મદદ વગર આતંકવાદીઓ આ રીતે ઘૂષણખોરી કરી શકવા સક્ષમ નથી. આ ઘૂસણખોરીમાં પાકિસ્તાનની સેનાનો હાથ છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ 8 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને તેમના મૃતદેહો મળી આવ્યા છે.
છેલ્લા 15 દિવસથી કેરન સેક્ટરમાં ચાલી રહેલી આ અથડામણ અંગે ભારતીય સેના દ્વારા શ્રીનગરમાં પ્રેસ કોન્ફરેન્સમાં માહિતી આપતા જણાવાયું કે આ ઘર્ષણમાં 8 આતંકાવાદીઓના મૃતદેહ મળ્યા છે. આતંકવાદીઓને હાંકી કાઢવા સેના દ્વારા 6 ઓપરેશન કરાયા હતા. આતંકવાદીઓ પાસેથી સેનાને 13 એકે47, ચાર ડિસ્પોઝિબલ રાયફલો, એક સ્પાઇનર અને 42 હાથગોળા સહિત મોટા પ્રમાણમાં દારુગોળો મળી આવ્યો છે.
લશ્કરના ઉપરી અધિકારી લેફ્ટનન્ટ જનરલ સંજીવ ચાચડાના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ એકેય ભારતીય ચોકી પર કબ્જો જમાવ્યો નથી. જોકે કેરનમાં આતંકવાદીઓની ઘૂષણખોરી અટકી નથી. ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘૂષણખોરી અંગે પાકિસ્તાની સેના સભાન રીતે કામ કરી રહી છે.
આતંકવાદી પાસેથી મળેલા મોટાભાગના હથિયારો પાકિસ્તાની બનાવટના છે. આ મુદ્દે સોમવારે વડાપ્રધાને જાતે જ લશ્કરની ત્રણેય પાંખના વડાઓ સાથે મુલાકાત કરી હતી અને માહિતી મેળવી. 12000 ફૂટથી વધુ ઉંચાઈએ હાથ ધરાયેલ આ આપરેશન માટે સ્પેશિયલ પેરા કમાન્ડોની મદદથી પાર પાડ્યું છે.
20 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન લશ્કર એ તૈયાબાના પ્રમુખ હાફિઝ સઇદે પાક અધિકૃત કાશ્મીરની નિલમ ઘાટી, મુઝફ્ફરાબાદના મીરાપુર અને કોટલીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભારતીય સેના પૂંચ સેક્ટરમાં થઈ રહેલા ઘૂષણખોરી અને ગોળીબારની ઘટનાઓમાં ફસાયેલી હોઈ આ અંગે ધ્યાન ન જતા આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા.