જાણો રહેમાન મલિકની ટિપ્પણીને કોણે કેવો જવાબ આપ્યો ?
ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને રહેમાન મલિકના નિવેદનને ભારતને બદનામ કરવાની કોશિશ ગણાવી છે. તેમને કહ્યું હતું કે ભારતના સંવિધાનમાં દરેકને બરાબરની ઇજ્જત મળે છે. ભારતમાં કોઇ ભેદભાવ નથી. તેમને કહ્યું હતું કે શાહરૂખખાન ટીવી કલાકારથી સુપરસ્ટાર બન્યો છે. આ દર્શાવે છે કે દેશના લોકો તેને કેટલો પ્રેમ કરે છે. તેમને કહ્યું હતું કે શાહરૂખખાને આ પ્રકારના નિવેદન આપવાથી બચવું જોઇએ. આ પ્રકારના નિવેદનથી પાકિસ્તાનને ફાયદો થાય છે.
શાહનવાઝ હુસૈને રહેમાન મલિકને શિખામણ આપતાં કહ્યું હતું કે ભારતના આંતરિક મુદ્દે બોલતાં પહેલાં પાકિસ્તાનમાં પોતાની સુરક્ષા સુનિશ્વિત કરવી જોઇએ. શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે ભારત સરકારે રહેમાન મલિકના આ નિવેદન પર કડક વિરોધ વ્યક્ત કરવો જોઇએ. પાકિસ્તાનના હાઇ કમિશ્નરને બોલાવી વિરોધ વ્યક્ત કરવો જોઇએ.
બીજી તરફ કોંગ્રેસ નેતા જગદંબિકા પાલે પણ આ મુદ્દે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે આ પાકિસ્તાનની એલઓસી મુદ્દેથી ધ્યાન હટાવવાની કોશીશ છે. બીજી તરફ શિવસેનાએ પણ આ મુદ્દે કહ્યું હતું કે શાહરૂખખાને રહેમાન મલિકને સખત શબ્દોમાં જવાબ આપવો જોઇએ. શિવસેના સામનાના સંપાદક પ્રેમ શુક્લાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેમાન સુરક્ષિત છે તેના કરતાં પણ વધારે શાહરૂખખાન ભારતમાં વધારે સુરક્ષિત છે.
કોંગ્રેસના પાર્ટી પ્રવક્તા રશીદ અલ્વીએ કહ્યું હતું કે પાકિસ્તાન પહેલાં પોતાની સુરક્ષા વિશે વિચારે. પાકિસ્તાનમાં મુસલમાનો કેટલા સુરક્ષિત છે અવાર-નવાર મસ્જિદોમાં બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલા થાય છે. પાકિસ્તાનને બોલિવુડ સ્ટાર શાહરૂખખાનની સુરક્ષા અંગે ચિંતા કરવાની જરૂર નથી.