લાલ બત્તીની પ્રથાનો અંત, દરેક ભારતીય છે ખાસ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, લાલ બત્તીના ઉપયોગ પર લગાવી રોક. મંત્રીઓ અને અધિકારીઓ નહીં કરી શકે લાલ બત્તીનો ઉપયોગ.
બુધવારના રોજ કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા લાલ બત્તીના ઉપયોગ પર રોક લગાવી છે. તમામ મંત્રીઓ અને અધિકારીઓની ગાડી પર લાલ બત્તી લગાવવા પર રોક લગાવવામાં આવી છે. આ નિર્ણય મજૂર દિવસ એટલે કે 1 મેના રોજ લાગુ કરવામાં આવશે.
બેઠકમાં પીએમનો પ્રસ્તાવ
બુધવારની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહલ બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, કેબિનેટ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવાની હતી, એની સૂચિમાં લાલ બત્તીનો મુદ્દો નહોતો. વડાપ્રધાન મોદી પોતે લાલ બત્તીનો આ રિવાજ ખતમ કરવા ઇચ્છે છે, આથી તેમણે પહેલ કરી આ પ્રસ્તાવ કેબિનેટ સામે મુક્યો, જે પાસ કરવામાં આવ્યો.
કોણ-કોણ કરે છે લાલ બત્તીનો ઉપયોગ?
દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, કેબિનેટ સ્તરના મોટા અધિકારીઓ, રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ, પ્રદેશના કેબિનેટ મંત્રી વગેરે પોતાની ગાડી પર લાલ બત્તી લગાવે છે. આ સિવાય રક્ષા મંત્રાલયના અધિકારીઓને પણ લાલ બત્તીનો ઉપયોગ કરવાની છૂટ છે. આપાતકાલીન સેવાઓ અને પોલીસ અધિકારીઓને પણ આ છૂટ આપવામાં આવી છે.
આમને મળશે છૂટ
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે કોઇ પણ નેતા, મંત્રી કે અધિકારી પોતાની ગાડી પર લાલ બત્તી નહીં લગાવી શકે. જો કે, પોલીસ અને આપાતકાલીન સેવાના વાહનો પર લાલ બત્તી લગાવવાની છૂટ છે. આ સિવાય રાજ્ય સરકારને પણ છૂટ આપવામાં આવી છે, તેઓ પોતાની અનુકૂળતા અનુસાર આ નિર્ણય લાગુ કરાવી શકે છે. કેન્દ્ર સરકારનો નિર્ણય લાગુ કરવા માટે પરિવહન વિભાગ તરફથી એક નવો કાયદો ઘડવામાં આવશે, જે હેઠળ લાલ બત્તીનો ઉપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
CM યોગીએ યુપીમાં બંધ કરાવી લાલ બત્તીની પ્રથા
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથે લાલ બત્તીના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો. યોગી સરકારના નિર્ણય અનુસાર, હવે મંત્રીઓની અધિકૃત ગાડી સિવાય પ્રદેશના કોઇ પણ વાહન પર લાલ બત્તીનો ઉપયોગ નહીં કરી શકાય. આ નિર્ણય બાદ હવે ઉત્તર પ્રદેશનો કોઇ પણ મોટો અધિકારી લાલ બત્તીનો ઉપયોગ ન કરી શકે.
અહીં વાંચો
PM મોદીની જ રાહે ચાલી નીકળ્યાં છે CM યોગી...
યોગી આદિત્યનાથ જ્યારથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા છે, ત્યારથી તેમણે રાહતનો શ્વાસ નથી લીધો. તેમણે પીએમ મોદીની માફક જ યુપીની જનતા માટે તાબડતોડ નિર્ણયો લીધાં છે, તેમણે લોકોની સગવડને ધ્યાનમાં રાખીને નિર્ણયો લીધાં છે.