પોન્ટી હત્યા કેસઃ નામધારી ભાજપમાંથી હકાલપટ્ટી
ઉત્તરાખંડ ભાજપ પ્રદેશના અધ્યક્ષ બિશન સિંહ ચુફાલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે નામધારીની હત્યાકાંડના મામલામાં ધરપકડ થવા અને અદાલત દ્વારા તેમને રિમાન્ડમાં મોકલવામાં આવ્યા બાદ પાર્ટીએ તેમની સદસ્યતા સમાપ્ત કરી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે નામધારીને પાર્ટીમાંથી પણ બર્ખાસ્ત કરવામાં આવ્યા છે. ચુફલે કહ્યું કે, આમ તો નામધારી ભાજપના સક્રિય સભ્ય નહોતા અને ના તો તે સંગઠનના કોઇ પદ પર હતા.
નોંધનીય છે કે હત્યાકાંડમાં નામ ઉછળ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પહેલા જ રાજ્ય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ પદ પરથી તેમને બર્ખાસ્ત કરી દીધા છે. દક્ષિણ દિલ્હીના છત્તરપુર ફાર્મ હાઉસમાં ગત 17 નવેમ્બરે થયેલા ફાયરિંગ દરમિયાન ચઢ્ઢા બંધુઓનું મોત નિપજ્યું હતું. નામધારી આ ઘટનાનો સાક્ષી છે તેમજ તેણે જ હુમલા અંગેની પ્રાથમિક ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તપાસ દરમિયાને તેની ભૂમિકા શંકાના ઘેરામાં આવતા 23 નવેમ્બરે દિલ્હી પોલીસે તેની ઉત્તરાખંડના બાજપુર વિસ્તાર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે નામધારીના પરિવારના સભ્યોની આ ઘટના અંગે પૂછપરછ કરી છે.
નામધારીને રિમાન્ડ પર લીધા બાદ દિલ્હી પોલીસની ટીમ ફરી તેને લઇને બાજપુર આવી હતી અને હત્યાકાંડમાં કથિત રીતે ઉપયોગ લેવાયેલી 7.62 એમએમ પિસ્તોલનો કબજો મેળવ્યો હતો.