રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે અગત્યની સૂચના, કોણ કોણ છે રેસમાં?
ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
દેશ માટે નવા રાષ્ટ્રપતિ પસંદ કરવાનો સમય આવી ગયો છે. જો કે, હજુ સુધી પક્ષ કે વિપક્ષ બેમાંથી કોઇએ પણ પોતાના ઉમેદવારના નામ જાહેર નથી કર્યાં. ભારતના ચૂંટણી પંચે 14 જૂનને બુધવારના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી અંગેની મોટી જાહેરાત કરી છે અને આ સાથે જ ચૂંટણી પ્રકિયાનો આરંભ થયો છે.
1 જુલાઇથી થશે નામાંકન
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે 28 જુન, 2017. ઉમેદવારી પત્રકોની સ્ક્રૂટની 29 જુન, 2017ના રોજ કરવામાં આવશે. ચૂંટણી પંચનું કહેવું છે કે, જો ચૂંટણી કરવી ફરજિયાત હશે તો 17 જુલાઇ, 2017ના રોજ ચૂંટણી યોજવામાં આવશે. મત ગણતરીનો સમય સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. 20 જુલાઇ, 2017ના રોજ મત ગણતરી સમાપ્ત થશે.
ઉમેદવાર કોણ?
ચૂંટણી પંચે સૂચના તો જાહેર કરી દીધી, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ પદના ઉમેદવાર કોણ છે? સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજનાથ સિંહ, વૈંકેયા નાયડુ અને અરુણ જેટલીની એક પેનલ બનાવવામાં આવી છે, જે ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરશે અને આ અંગે વિપક્ષને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરશે.
વિપક્ષની યોજાશે બેઠક
બુધવારના રોજ જ વિપક્ષના કોંગ્રેસ નેતા ગુલામ નવી આઝાદના ઘરે ગઠબંધન નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં તેઓ પોતાની રણનીતિ પર ચર્ચા કરશે. જો કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોનું કહેવું છે કે, આજની બેઠક બાદ તેમના દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ઘોષણા કરવામાં નહીં આવે. કહેવાઇ રહ્યું છે કે, વિપક્ષ ભાજપ તરફથી ઉમેદવારની ઘોષણા થાય એની રાહ જોઇ રહ્યું છે.
વૈંકેયા નાયડુએ કહ્યું...
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બનાવવામાં આવેલ નવી સમિતિના સભ્ય વૈંકેયા નાયડુએ કહ્યું કે, ઉમેદવારના નામ અંગે ચર્ચા કરતાં પહેલાં વિપક્ષ સાથે ચર્ચા કરવમાં આવશે. આ પહેલાં વિપક્ષ તરફથી ઘોષણા કરવામાં આવી હતી કે, જો ભાજપ બંન્ને પક્ષો(ભાજપ અને વિપક્ષ)ને મંજૂર હોય એવા ઉમેદવારની પસંદગી નહીં કરે તો, વિપક્ષ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધીને ઉમેદવાર બનાવશે.
કોણ-કોણ છે રેસમાં?
ઉલ્લેખનીય છે કે, સત્તાધારી દળમાંથી ઓરિસ્સાના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું નામ રેસમાં છે. વિપક્ષમાંથી હાલ માત્ર પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધીનું નામ સાંભળવા મળી રહ્યું છે.