નરેન્દ્ર મોદી અમારા માટે ખતરો કે પડકાર નથી: મનમોહન સિંહ
કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ આઠ નવા મંત્રીઓ દ્રારા રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે શપથ ગ્રહણ કર્યા બાદ વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે મને હંમેશાથી પુરો વિશ્વાસ રહ્યો છે કે યુપીએના રૂપમાં અમે ત્રીજી વાર સત્તામાં આવીશું અને દેશની જનતા ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરશે. નરેન્દ્ર મોદીથી કોઇ ખતરો નથી. જનતાને ખબર છે કે નરેન્દ્ર મોદી શું છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના કેન્દ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદીનું કદ વધ્યા બાદ વડાપ્રધાનની આ ટિપ્પણી સામે આવી છે.
વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના સ્વાભાવિક નેતા છે. હું ઇચ્છું છું કે રાહુલ ગાંધી મારી જવાબદારી સંભાળે. મારી ઇચ્છા છે કે રાહુલ ગાંધી યુપીએના નેતા બને. મને ખુશી થશે જો રાહુલ ગાંધી મારી જવાબદારી સંભાળે. મારું માનવું છે કે યુપીએ ત્રીજીવાર સત્તામાં આવશે. પ્રજા બીજીવાર અમારી પર વિશ્વાસ મુકશે અને વિશ્વાસ રાખશે.
તેમને ટ્વિટર પર એમપણ લખ્યું છે કે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર ધર્મનિરપેક્ષ નેતા છે. નરેન્દ્ર મોદીને પડકાર ન માનતા કહ્યું હતું કે પ્રજા બધુ જ જાણે છે અને પ્રજા જ નક્કી કરશે. નરેન્દ્ર મોદી કોઇ પડકાર નથી.
કોંગ્રેસ-જેડીયૂની સંભાવના પર મનમોહન સિંહે કહ્યું હતું કે રાજકારણમાં કોઇ કાયમી મિત્ર કે દુશ્મન હોતો નથી. અમે સ્થિતીના આધારે નિર્ણય કરીએ છીએ. જેડીયૂ-ભાજપના ગઠબંધનવાળી એનડીએમાંથી છુટા પડવાના મુદ્દે તેમને કહ્યું હતું કે આ તેમનો આંતરિક મુદ્દો છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએનું કેન્દ્ર સરકારના રૂપમાં આ બીજો કાર્યકાળ છે. આગામી લોકસભાની ચૂંટણી 2014માં યોજાવવાની છે.