મોદી અંગે યુટર્ન નહીં: રાજનાથ સિંહ
રાજસ્થાનના બાંસવાડા ખાતે પત્રકારોને સંબોધતા ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું છે કે, નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન બનાવવાનો નિર્ણય બધાની સહમતિથી લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો બધાએ સ્વિકાર કર્યો છે. મોદી અંગે યુ ટર્ન લેવામાં આવશે નહીં. અડવાણીને લઇને તેમણે કહ્યું હતું કે, લાલકૃષ્ણ અડવાણી અમારા વરિષ્ઠ છે અને અમે તેમને મનાવી લઇશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવા ખાતે ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીની બે દિવસની બેઠક મળી હતી. આ બેઠકમાં પણ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યાં નહોતા અને ત્યારબાદ 9મી જૂનના રોજ સર્વાનુમતે પક્ષની ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમને તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ કરવામાં આવી હતી. આ વચ્ચે અડવાણીના ઘરની બહાર મોદી સમર્થકો દ્વારા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું હતું. બે દિવસના આ હાઇવોલ્ટેજ ડ્રામાના બીજા જ દિવસે લાલકૃષ્ણ અડવાણી પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને ભાજપના રાજકારણમાં ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ ઉભો કરી દીધો છે અને હાલ પક્ષના તમામ દિગ્ગજ તેનાઓ તેમને મનાવવામાં લાગી ગયા છે.