હવે ગંગોત્રી મંદિરમાં તિરાડો પડવાથી ચિંતા વધી
ગંગોત્રી વિસ્તારમાં ભારે વરસાદને પગલે એક બેફામ વહેતા ઝરણાએ મંદિર પરિસરના એક હિસ્સાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે મંદિરની સુરક્ષા અંગે શંકા વધી છે. શ્રદ્ધાળુઓમાં પ્રખ્યાત ચાર ધામની યાત્રામાંથી ગંગોત્રી મંદિરમાં ગંગા માતાની પ્રતિમા છે. તે ભાગીરથી નદીના કિનારે આવેલું છે. તે નદીના વાસ્તવિક સ્રોતથી 18 કિલોમીટર દૂર બાંધવામાં આવેલું છે.
અત્યંત ખરાબ હવામાન અને ગ્લેશિયરથી આવી રહેલા પાણીને કારણે મંદિરની ઇમારત અને પરિસરની દીવાર અનેક જગ્યાએ તિરાડ પડી ગઇ છે. એક જગ્યાએ લાકડાથી બનાવેલું માળખું તૂટી ગયું છે. આ અંગે મંદિરના પુજારીઓનું કહેવું છે કે વરસાદ અને શિયાળામાં પડતા બરફને કારણે આમ થયું છે.
ગંગોત્રીના પુજારી પંડિત દ્રોણાચાર્ય સમવાલે જણાવ્યું કે ભૈરો ઝાપ ઝરણું હવે જોખમી બની ગયું છે. તેમણે જણાવ્યું કે "ગ્લેશિયરમાંથી આ ઝરણામાં આવનારા પાણીની સાથે મોટા પ્રમાણમાં પત્થર અને કાંકરા પણ વહીને આવી રહ્યા છે. આ કારણે મંદિર પરિસરની દીવારમાં તિરાડ પડી છે. જેના કારણે પરિસરમાં ઝરણાનું પાણી આવી રહ્યું છે. શિયાળામાં અહીં બરફથી બધુ જ ઢંકાઇ જાય છે."