હવે વીજ બિલ નહીં ભરો તો કનેક્શન કપાતા વાર નહીં લાગે
આ માટે વીજળી કંપની દ્વારા દરેક ઘરમાં સ્માર્ટ મીટર મૂકવાની યોજના ચલાવવામાં આવી રહી છે. આ મીટરમાં એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે કે ગ્રાહક દ્વારા મીટર કે વીજ વપરાશમાં કોઈ ચેડા કરવામાં આવશે તો વીજ વિભાગના કાર્યલાયમાં તેની આપોઆપ ખબર પડી જશે અને ત્યાંથી જ ગ્રાહકોનું મીટર બંધ કરી દેવામાં આવશે.
આ પ્રમાણેના સ્માર્ટ મીટર નાખવાની ભલામણ કેન્દ્ર સરકારના વીજળી વિભાગના ચેરમેન એ એસ બક્શીની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી ઉચ્ચ સ્તરની કમિટીએ આપી છે. આ સમિતિની રચના કેન્દ્ર સરકાર દ્વારા પાછલા વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવી હતી. સમિતિએ જ રિપોર્ટમાં સ્માર્ટ મીટરની ભલામણ કરી છે. આ સાથે એમ પણ જણાવ્યું છે કે આ પ્રમાણેના મીટર લગાવતા પહેલા ગ્રાહકોને તે વિશે જાગ્રત કરવામાં આવશે.
વર્તમાન નિયમ અનુસાર બિલ નહી ભરનાર ગ્રાહકોને હાલ વીજ નિયમ 2003 અંતર્ગત વીજળીનું કનેક્શન કાપવાના 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવે છે, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા પછી કર્મચારીઓ દ્વારા ઓફિસથી જ કમાન્ડ આપીને વીજળીનું કનેક્શન કાપી દેવામાં આવશે અને બિલ ભર્યાના થોડી વારમાં જ વીજળીનું કનેક્શન પાછું ચાલુ કરી દેવામાં આવશે.
હાલની વ્યવસ્થા પ્રમાણે મર્યાદા કરતા વધુ લોડનો ઉપયોગ કરવા માટે પણ વીજ કનેક્શન કપાઇ જવાની શક્યતા રહે છે. પરંતુ સ્માર્ટ મીટર લાગ્યા પછી ગ્રાહકો દ્વારા જો મર્યાદા કરતા 25 ટકા વધુ લોડનો ઉપયોગ કરવામાં આવશે તો પણ સ્માર્ટ મીટર આપોઆપ વીજળી બંધ કરી દેશે.