ડુંગળીના ભાવ 15 વર્ષનો રેકોર્ડ તોડશે
અમદાવાદ, 21 ઓક્ટોબર : નવરાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે ડુંગળીના પાકમાં થયેલા નુકસાનથી ફરી એક વાર ડુંગળીના ભાવમાં 50 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે અને ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીએ હવે અમીરોની થાળીનો સ્વાદ પણ બગાડ્યો છે. ડુંગળીમાં ફરી તેજીનો માહોલ જોવાયો છે. મહારાષ્ટ્રથી આવતી ડુંગળીની આવકનું પ્રમાણ અત્યંત ઓછું હોવાને કારણે બજારમાં ડુંગળીના ભાવ બેફામપણે વધી રહ્યા છે. સમગ્ર દેશમાં ડુંગળીની આવક ઘટી છે.
છેલ્લાં 15 વર્ષ દરમિયાન હજુ રૂપિયા 15 સુધી પહોંચ્યા નથી. વર્ષ 1998માં ડુંગળીનો ભાવ રૂપિયા 90 સુધી પહોંચ્યો હતો, પરંતુ હવે ફરી 15 વર્ષ પછી ડુંગળીએ ભાવવધારાની સરખામણીએ 15 વર્ષનો રેકર્ડ તોડી નાખ્યો છે. અત્યારે જથ્થાબંધ ભાવે પણ ડુંગળી રૂપિયા 60થી 65ના ભાવે મળી રહી છે, જેથી શાકભાજીની દુકાને રિટેલમાં ડુંગળીનો ભાવ રૂપિયા 90 સુધી પહોંચ્યો છે. ડુંગળી હવે પ્રમોશન લઇને ગરીબ અને મધ્યમ વર્ગની ભોજનની થાળીમાંથી બહાર આવીને અમીરોની રસોઇની શોભા બની છે.

ડુંગળીના વધતા ભાવે સામાન્ય પ્રજાના ભોજનનો સ્વાદ બગાડી દીધો છે. ગરીબ અને મધ્યમ વર્ગ હવે ડુંગળી ભોજનમાં વાપરવા માટે વિચારી પણ શકતા નથી. ડુંગળીના વધી રહેલા ભાવ પર કાબૂ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. દિવાળી સુધી હજુ પણ ડુંગળીના ભાવ વધેલા રહેશે તેવું જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે. બજારમાં ડુંગળીની નવી આવક શરૂ થયા બાદ જ ભાવ ઘટવાની સંભાવના છે.
પાછોતરા વરસાદને કારણે નવી ડુંગળીની આવકની ધારણા ઉપર કાપ મુકાયો છે. મહુવાની ડુંગળીની આવક 15 નવેમ્બર બાદ શરૂ થાય તેવો અંદાજ છે, જેથી હજુ એક મહિનો ડુંગળીના ભાવ ઊંચા રહેશે. આવી જ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના કેટલાક ખેડૂતો અત્યારે ડુંગળી વેચવાના મૂડમાં નથી. કર્ણાટકમાં નવી ડુંગળીની આવક પૂરજોશમાં છે, પરંતુ ડુંગળીના ભાવ વધતાં કર્ણાટકની ડુંગળીની આવકમાં પણ ઘટાડો થયો છે.












Click it and Unblock the Notifications
