પાક. બન્યુ ફરી નાપાક, સીઝફાયર તોડી ભારતીય ચોકી પર કર્યું ફાયરિંગ
ભારત આ ઘટનાના પગલે કડક વલણ અપનાવી પાકિસ્તાન સાથે ફ્લેગ મીટીંગ કરવા પર વિચાર કરી રહી છે. તેમજ કેન્દ્ર સરકારે આ ઘટનાની સંયુક્ત રાષ્ટ્ર પાસે તપાસ કરાવવાની પાકિસ્તાનની માંગને નકારી કાઢી છે.
સેનાના હેડક્વાર્ટરમાંથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાની સેનાએ પુંછ સેક્ટરના બટ્ટલ વિસ્તારમાં ગુરુવારે સાંજે 4.30 વાગે ગોળીબારી શરુ કરી દીધી. જેનો ભારતીય સેના દ્વારા જવાબી ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. આ ગોળબાર સાંજે 6.10 વાગ્યે બંધ થઇ હતી. આ ફાયરિંગ 13 રાજપૂતાના રાઇફલ્સના વિસ્તારમાં થઇ, આ વિસ્તારમાં પહેલા થયેલા ઘર્ષણમાં બે જવાનો લાંસ નાયક સુધાકરસિંહ અને હેમરાજની હત્યા કરી દેવામાં આવી હતી. જેના પગલે આ વિસ્તારમાં ઘર્ષણ વધ્યું છે. આ વિસ્તારની ટૂકડીને બારાસિંઘા બટાલિયન તરીકે ઓળખવામાં આવે છે.
આ સાથે જ પાકિસ્તાને બંને દેશોની વચ્ચે વ્યાપાર માટે નિકળેલા 25 ભારતીય ટ્રકોને તેમના કબ્જાવાળા કાશ્મીરમાં જવા દીધા નહીં. સીમા પર હાજર ભારતીય અધિકારીઓએ આ અંગે પાકિસ્તાની અધિકારીઓ સાથે વારંવાર વાત કરી, પરંતુ તેઓ સાંભળવા માટે તૈયાર નથી. જોકે સૂત્રોએ જણાવ્યું કે ગુરુવારે 50 ભારતીય ટ્રકો પાકિસ્તાન બાજુ ગયા અને પાકિસ્તાનના 37 ટ્રક ભારત આવ્યા હતા.
બીજી બાજું મેંઢર સેક્ટરમાં યુદ્ધવિરામ ઉલ્લંઘન અને બે ભારતીય જવાનોની સાથે થયેલા બર્બર વ્યવહાર અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે આરોપ પ્રત્યારોપનો દૌર ચાલુ છે. જોકે પાકિસ્તાન એવું માનવા માટે તૈયાર નથી પાકિસ્તાની સૈનિકોએ એલઓસીમાં ઘુસીને બે ભારતીય સૈનિકોની હત્યા કરી હોય. જોકે ગઇકાલે એક પ્રેસ કોંફ્રેન્સમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શીંદેએ જણાવ્યુ હતું કે બોર્ડર પર આતંકવાદ પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવે છે.