મોદીની મહત્વકાંક્ષી 'પ્રધાનમંત્રી આવાસ યોજના' અંતર્ગત અત્યાર સુધીમાં કેટલાં મકાન બન્યાં?
'પ્રધાનમંત્રી આવાસ યોજના'માં અત્યાર સુધી કેટલાં મકાન બન્યાં?
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં 20 મિલિયન એટલે કે 2 કરોડથી પણ વધુ સસ્તાં ઘર બનાવવાનો સરકારનો મહત્વકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યો હતો. આ લક્ષ્યને હાંસલ કરવા માટે મોદી સરકારે કેટલીય પહેલ પણ કરી છે. રેલીઓમાં પણ પીએમ મોદી હંમેશા આ અંગે વાત કરતા જોવા મળે છે. ત્યારે જુઓ અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત કેટલું કામ થયું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભારત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 51 લાખ મકાનને મંજૂરી આપી દીધી છે. વધુમાં 8 લાખ ઘર પહેલેથી જ બની ગયાં છે અને બીજાં 8 લાખ ઘર લાભાર્થીઓને સોંપી પણ દેવામાં આવ્યાં છે. વધુમાં સરકારે મધ્યમ વર્ગને વધુમાં વધુ લાભ આપવા આપવા માટે ગયા મહિને વધુ 6,26,488 ઘરને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવાની મંજૂરી આપી દીધી છે.
વિવિધ રાજ્યોમાં મળેલ લાભ વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સૌથી વધુ લાભ મળ્યો છે. PMAY અંતર્ગત ઉત્તર પ્રદેશ માટે કુલ 2,34,879 ઘર ફાળવવામાં આવ્યાં છે જ્યારે આંધ્ર પ્રદેશ માટે 1,40,559 ઘર ફાળવાવામાં આવ્યાં છે. ઉપરોક્ત પ્રસ્તાવિત મકાનો સાથે, PMAY(U) હેઠળ સંચયિત મંજૂરીઓ CSMCની અંતિમ મંજૂરી પછી 60,28,608 બની ગઈ છે.
મધ્ય પ્રદેશ માટે કુલ 74,631 ઘર ફાળવવામાં આવ્યાં છે, બિહાર માટે કુલ 50,017 ઘર ફાળવવામાં આવ્યાં છે, છત્તીસગઢ માટે કુલ 30,371 અને ગુજરાત માટે કુલ 29,185 ઘર ફાળવવામાં આવ્યાં છે. જ્યારે મહારાષ્ટ્ર માટે 22,265 અને તમિલનાડુ માટે 20,794 ઘર ફાળવવામાં આવ્યાં છે. ઓરિસ્સાને માટે કુલ 13, 421 ઘર, ત્રિપુરા માટે 9778 અને મણીપુર માટે કુલ 2588 ઘર ફાળવવામાં આવ્યાં છે.
કેરળમાં ભારે પૂરને પગલે ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી મંત્રાલયે રાજ્ય સરકારને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવાના પ્રસ્તાવને ફરીથી મોકલવા કહ્યું છે. આમાં પૂર અસરગ્રસ્તોનો પણ સમાવેશ થશે જેઓ PMAY (U) અંતર્ગત એલિજિબલ હોય. કેરળ માટે પહેલેથી જ 486.87 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો- મોદી સરકારની મોટી સફળતાઃ દેશમાં સ્ટાર્ટઅપ અને રોજગારની તકમાં થયો વધારો