ઉમા ભારતીને મળવા પહોંચી પ્રજ્ઞા ઠાકુર, ગળે મળી રડવા લાગી
પ્રજ્ઞા ઠાકુર લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભોપાલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. સાધ્વી પ્રજ્ઞાએ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી સાથે મુલાકાત કરી
પ્રજ્ઞા ઠાકુર લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભોપાલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. સાધ્વી પ્રજ્ઞાએ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી સાથે મુલાકાત કરી. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સોમવારે સવારે પ્રચાર કરવા જતા પહેલા કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીને મળવા માટે તેમના ઘરે પહોંચી હતી. ઉમા ભારતીએ સાધ્વી પ્રજ્ઞાને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું.
ઉમા ભારતીને મળીને સાધ્વી પ્રજ્ઞાનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ રડવા લાગ્યા. ઉમા ભારતીએ તેમને તિલક કરીને ખીર ખવડાવી. તેની સાથે સાથે ઉમા ભારતીએ ભોપાલમાં તેના માટે પ્રચાર કરવાનું વચન પણ આપ્યું. ઉમા ભારતીએ કહ્યું કે તેઓ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું ખુબ જ સમ્માન કરે છે કારણકે મેં તેમના પર થયેલા અત્યાચારો જોયા છે. આ માટે તેઓ પૂજનીય છે અને તેમના માટે ચૂંટણી પ્રચાર કરીશ.
ભાજપાએ ભોપાલથી ટિકિટ આપી
આપને જણાવી દઈએ કે આ પહેલા બંને વચ્ચે તણાવની ખબરો આવી રહી હતી પરંતુ બંનેના મળ્યા પછી બધી જ ખબરો પર વિરામ લાગી ગયું છે. માલેગાંવ બ્લાસ્ટ આરોપી પ્રજ્ઞા ઠાકુર ને જ્યારથી ભાજપાએ ભોપાલથી ટિકિટ આપી છે ત્યારથી ભારતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે ભોપાલથી કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતારી છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારવા બાબતે વિપક્ષી દળો સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે.
સાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું
ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાની કેન્સર બીમારી અંગે મોટો ખુલાસો કર્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગૌમૂત્ર પીને તેમને કેન્સરનો ઉપચાર કર્યો છે. એક ટીવી કાર્યક્રમ દરમિયાન તેમને કહ્યું હતું કે જે રીતે ગાયો સાથે વર્તન કરવામાં આવે છે તે દુઃખદ છે. તેમને કહ્યું કે ગૌધન અમૃત છે.
બાબરી મસ્જિદને તોડવા માટે તેઓ ઉપર ચઢ્યા હતા
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે બાબરી મસ્જિદને તોડવા માટે તેઓ ઉપર ચઢ્યા હતા હવે મંદિર નિર્માણ માટે પણ તેઓ ઉપર ચઢીને બનાવશે. ચૂંટણી પંચ દ્વારા ઠાકુરના આ નિવેદનને ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાન્તા રાવે પ્રજ્ઞા ઠાકુરને ચેતવણી આપી છે.