મુસ્લિમો માટે આરએસએસ શરૂ કરશે ચેનલ!
નવી દિલ્હી, 15 નવેમ્બર: હિન્દુત્વ વિચારધારાની સોગંધ ખાનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એવી યોજના પર કામ કરી રહ્યું છે, જેને સાંભળીને તેના સમર્થકો ચોક્કસ આશ્ચર્યમાં પડી જશે. ઇટીના સમાચાર અનુસાર આરએસએસ સાથે જોડાયેલા લોકો ભારતીય મુસ્લિમોને ઇસ્લામ અંગે માહિતગાર કરવા માટે એક નવી ટેલિવિઝન ચેનલ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે.
આવતા વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીઓ પહેલા 'પૈગામ ટીવી' લૉંચ કરવાની યોજના છે. હાલમાં સંઘે એક ઉર્દૂ અખબાર પણ શરૂ કર્યું છે, જેનું નામ 'પૈગામ માદરે વતન' છે. આ ઉપરાંત રણનીતિમાં એફએમ ચેનલ શરૂ કરવાની પણ યોજના સામેલ છે.
અખબારના ચીફ એડિટર અને પૂર્વ આરએસએસ પ્રચારક ગિરિશ જુયાલ આ તમામ યોજનાનું સંચાલન કરી રહ્યા છે. જોકે તેમનું કહેવું છે કે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલ પહેલનું સંઘ સાથે કોઇ લેવાદેવા નથી. જુયાલે જણાવ્યું કે 'આ વ્યક્તિગત મોર્ચા પર થનારી કોશિશ છે, અને તેનો આરએસએસ અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચ સાથે કોઇ નિસબત નથી.'
જુયાલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના નેશનલ ઓર્ગેનાઇજિંગ કનવેનર છે અને તેની ભાગડોર ઇન્દ્રેશ કુમારના હાથમાં છે. ઇન્દ્રેશ આરએસએસ સાથે સંકળાયેલા છે અને મુસ્લિમની વચ્ચે સંગઠનના પ્રચાર માટે કામ કરે છે.
આરએસએસ પ્રવક્તા રામ માધવે જણાવ્યું 'આરએસએસ કોઇ ચેનલનું ફંડિંગ નથી કરતું. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ એક સ્વતંત્ર સંગઠન છે, જેના આરએસએસ સાથે સારા એવા સંબંધ છે, તેમની પ્રક્રિયા પણ સ્વતંત્ર હોય છે.'