સંજય દત્ત પાસે બચવાના બહુ ઓછા વિકલ્પ છે: માજિદ મેમણ
સુપ્રિમ કોર્ટે આજે સંજય દત્તને વર્ષ 1993ના મુંબઇ બ્લાસ્ટ હુમલામાં હથિયાર રાખવા બદલ ગુનેગાર માન્યો છે અને તેને પાંચ વર્ષની સજા સંભળાવી છે. આ પહેલાં ટાડાની સ્પેશિયલ કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તને છ વર્ષની સજા સંભળાવી હતી જેને ઘટાડીને પાંચ વર્ષની કરવામાં આવી છે. સંજય આ પહેલાં 18 મહિનાની જેલ ભોગવી ચુક્યો છે અને હવે તેને સાડા ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે.
માજિદ મેમણના જણાવ્યા અનુસાર સંજય દત્તને શરણાગતિ માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેમની પાસે થોડો સમય છે. આ દરમિયાન તેમની ધરપકડ કરવામાં નહી આવે અને તેમના વકિલોને ચુકાદાનો અભ્યાસ કરવાની તક મળી જશે.
માજિદ મેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે પુનવિચાર માટે થોડીગણી શક્યતા છે અને તેમને લાગતું નથી કે આ ચુકાદા વિરૂદ્ધ મોટી બેંચ પુનવિચાર યાચિકા સ્વિકાર કરે. માજિદ મેમણે એ પણ કહ્યું હતું કે સંજય દત્તને સજા કાપવી પડશે. માજિદ મેમણે કહ્યું હતું કે એ કહેતાં મને દુખ થાય છે કે સંજય દત્તને જેલમાં પોતાની સજા ભોગવવી પડશે.
જો કે માજિદ મેમણે કહ્યું હતું કે એક નાનું આશાનું કિરણ છે કે જો તેમની પુનવિચાર યાચિકા સ્વિકારવામાં આવે છે તો ચુકાદા પર સ્ટે આવી શકે છે. પરંતુ તેમને એ સ્પષ્ટ છે કે બધા માટે પુનવિચાર યાચિકાનો વિકલ્પ ખુલ્લો હોતો નથી અને પુનવિચાર યાચિકાને ત્યારે સ્વિકારવામાં આવે છે જ્યારે કોર્ટના ચુકાદામાં કોઇ ટેક્નિકલ ભુલ હોય.