વિધાનસભા ચૂંટણી પહેલા મોદીને PM ઉમેદવાર ઘોષિત ના કરો : શિવરાજ
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : ભાજપ તરફથી નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની તૈયારીઓની વચ્ચે હવે એક નવો અવરોધ ઉભો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ અવરોધ કોઇ અન્ય વિરોધી પાર્ટી કે કોર્ટ તરફથી નહીં પણ સ્વયં ભાજપના જ નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે.
વાસ્તવમાં શિવરાજ સિંહની એક માંગણીએ નરેન્દ્ર મોદી અને ભાજપ માટે અવરોધ ઉભો કર્યો છે. શિવરાજ સિંહે માગણી કરી છે કે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાય ત્યાં સુધી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની ઘોષણા કરવામાં આવે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર શિવરાજ સિંહે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશમાં 30 બેઠકો પર મુસ્લિમોની ભૂમિકા મહત્વની છે. આ કારણે નરેન્દ્ર મોદીના નામની ઘોષણા વિધાનસભા ચૂંટણી પહેલા કરવામાં આવે તો તે બેઠકો પર ભાજપને નુકસાન થઇ શકે છે.
આ મુદ્દે શિવરાજ સિંહ ચૌહાણે તાજતરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત યોજી પોતાની વાત રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ભાજપ તરફથી પીએમ પદના સંભવિત ઉમેદવારોની લિસ્ટમાં સૌથી ઉપર ચાલી રહ્યા છે. તેઓ હાલ પાર્ટીના ચૂંટણી અભિયાનના પ્રમુખ છે.












Click it and Unblock the Notifications
