અમેરિકન જાસૂસ સ્નોડેને ભારતમાં આશ્રય નથી માંગ્યો : ભારતીય સૂત્રો
આ સાથે સરકારી સૂત્રોએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે સ્નોડેન તરફથી એવી કોઈ વિનંતી મળશે તો એની પર વિચારણા પણ કરવામાં નહીં આવે. આમ કરવાનું કારણ એ છે કે સ્નોડેન પાસે કોઈ યોગ્ય ટ્રાવેલ દસ્તાવેજો નથી.
ઉલ્લેખનીય છે કે વિકિલીક્સ દ્વારા એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે અમેરિકી વ્હીસલબ્લોઅર એડવર્ડ સ્નોડેને ભારત સહિત 21 દેશોમાં આશ્રય માગ્યો છે. જો કે કહેવાય છે કે સ્નોડેને ઈક્વાડોર અને આઈસલેન્ડમાં જ રાજ્યાશ્રય માગ્યો છે.
એડવર્ડ પર અમેરિકાની ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. આ બાબતમાં વિકિલિક્સના કાયદાકીય સલાહકાર સારા હેરિસને 30 જૂનના રોજ સ્નોડેન વતી ભારત સહિત અન્ય 20 દેશોમાં રાજ્યાશ્રય માટે અરજી કરી હોવાનો વિકિલિક્સે દાવો કર્યો હતો.
સીઆઇએના પૂર્વ કર્મચારી સ્નોડેને ભારત ઉપરાંત ચીન, રશિયા, ઓસ્ટ્રિયા, બોલિવિયા, બ્રાઝિલ, ક્યુબા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, આયરલેન્ડ, હોલેન્ડ, નિકારાગુઆ, નોર્વે, પોલેન્ડ, સ્પેન, સ્વીત્ઝરલેન્ડ અને વેનેઝુએલામાં રાજકીય શરણ માટે અરજી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન સ્નોડેને અમેરિકન રાષ્ટરપતિ બરાક ઓબામા પર એવો આરોપ લગાવ્યો છે કે તેઓ તેમને વિદેશમાં રાજકીય શરણ લેવાના અધિકારથી વંચિત કરી રહ્યા છે.