તમિલનાડુ માટે નવો વિશ્વરૂપમ તૈયાર કરવાનો સમય પાક્યો
કમલ હાસનની ફિલ્મ વિશ્વરૂપમ પર પ્રતિબંધ લગાવવા માટે અનેક કારણઓ આગળ ધરવામાં આવ્યા છે. આ ફિલ્મને ધિક્કારનારા લોકો કહે છે કે ફિલ્મમાં એક ખાસ ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. બીજી તરફ સરકાર એવું કારણ રજુ કરે છે કે એક ફિલ્મ થિયેટર્સમાં શાંતિપૂર્ણ રીતે દર્શાવાય તે માટે સુરક્ષા કેવી રીતે પૂરી પાડી શકીએ. આ ગુંચવાડા અને સાંસ્કૃતિક આતંકવાદના પ્રયોજનોની વચ્ચે વાસ્તવિકતા અને સત્ય બહાર આવે તે માટે તથ્યો અને યથાર્થને અલગ કરવાનું ઘણું મુશ્કેલ થઇ શકે એમ છે.
આપણે છેલ્લા કેટલાક વર્ષોનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે આપણે દેશમાં ઓછા ઉદાર અને અસહિષ્ણુ બન્યા છીએ. બીજી એક બાબત પણ સામે આવી છે. તાજેતરમાં અનેક અભિનેતાઓ, લેખકો અને અન્ય લોકો સાથે પણ વિવાદો ઉભા થયો થે. તેમને તેમની સવાલ પૂછવાની અને ટિકા કરવાની સ્વતંત્રતાને લઇને નિશાન બનાવવામાં આવ્યા છે. આ સ્થિતિને જોતા એક ધર્મનિરપેક્ષ વિચારધારા ધરાવતા અને લોકશાહી દેશ માટે અપશુકનિયાળ ઘટનાઓ કહી શકાય.
આ મુદ્દે તમિલનાડુ અનેક વર્ષોથી વિવાદોમાં ધેરાયેલું રહયું છે. ત્યાં લોકો ચમચાગીરીના માર્ગ પર વધારે ચાલે છે. રાજકીય ઇચ્છાઓ પૂરી કરવા માટે અનેકવાર ફિલ્મ ઉદ્યોગની મદદ લેવામાં આવી છે. આ ચાલબાજી રમીને અનેક ફિલ્મ અભિનેતાઓ રાજનેતા બની ગયા છે. એમ કહી શકીએ કે રાજ્યના મુખ્યમંત્રી પણ તેમાં આવી જાય છે અને આ તેમના જીવનનો મોટો પડાવ છે. તેમના સંબંધીઓ વિવિધ કંપનીઓના સીઇઓ બની ગયા. તમિલનાડુમાં 1960 બાદ બે પાર્ટીઓ વધારે આગળ આવી. એક ડીએમકે અને બીજી એઆઇએડીએમકે. જેમાં કોલિવુડના હીરો, વિલન અને અન્ય ફિલ્મી કેરેક્ટર્સ, કોમોડિયનો ભરેલા પડ્યા છે. આ રાજનેતાઓના તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટી લાગવગો છે.
જ્યારે તેમની પાર્ટી સત્તામાં રહી ત્યારે તેમને ભારે ફાયદો થયો. એવી જ રીતે તેમની પાર્ટી હારી કે વિપક્ષમાં બેઠી તો આરોપોને શિકાર પણ બની. તમિલનાડુમાં રાજકારણ અને ફિલ્મ ઉદ્યોગ વચ્ચેના સંબંધો ખૂબ જ જટિલ અને ગૂંચવાયેલા છે. આ એવી ગૂંચવણ છે કે જેમાં રાજકારણ અને ફિલ્મોને હાથો બનાવીને અનેક લોકોને ફસાવીને શિકાર બનાવવામાં આવ્યા છે. આવું પહેલા પણ થઇ ચૂક્યું છે. આજે પણ સિલસિલો ચાલુ છે. ભવિષ્યમાં પણ આવું થતું રહેશે. વિચારવાની બાબત એ છે કે આ ગંદી રમતનો શિકાર અનુભવી, વિચારશીલ અને સર્વશ્રેષ્ઠ અભિનેતા કમલ હસન બનશે એવું કોઇએ વિચાર્યું પણ નહીં હોય.
અહીં હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે હું કમલ હાસનનો ચાહક નથી. મારા મત મુજબ તેઓ ચીલા ચાલુ વિષયોથી અલગ ફિલ્મો બનાવતા આવ્યા છે. તેઓ હંમેશા આ દિશામાં પ્રયોગશીલ રહ્યા છે. આ માર્ગ પર તેમને ક્યારેક સફળતા મળી છે તો ક્યારેક નિષ્ફળતા. આવી જ રીતે તેમણે ફિલ્મ ઉદ્યોગમાં અનેક ભૂમિકા નિભાવી છે. તેઓ અભિનેતા ઉપરાંત સારા નિર્દેશક, નિર્માતા, ગાયક, નૃત્યકાર છે. બોલીવુડના આમિર ખાન પહેલા તેમણે અનેક રચનાત્મક પ્રસ્તુતિઓ આપી છે.
આ જ કારણે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના ચાહકો તેમની પાસેથી થોડુંક અલગ કરવા માટેની આશા રાખી રહ્યા હતા. મને નથી લાગતું કે તમિલનાડુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇ અન્ય અભિનેતા હશે જે કમલ હાસનને પડકારી શકે. આવા મોટા નાયકે ઝુકવું પડ્યું, એમણે એવી બાબત માટે નીચું નમવું પડ્યું જે તેમણે કરી નથી. તેઓ આ ફિલ્મના નિર્માણમાં અંદાજે રૂપિયા 100 કરોડ રોકી ચૂક્યા છે. તેમણે પોતાની બધી જ મૂડી તેમાં લગાવી દીધી છે. તેમના અનેક સાથે તેમને જાહેરમાં સમર્થન આપવામાંથી પાછા ખસી ગયા છે, કારણ કે તેમને ડર છે કે હવે પછી તેઓ પોતે નિશાન ના બને.
અંદાજે એક દાયકા પહેલા ઇ વી રામાસામી (જે પેરિયારના નામે પ્રસિદ્ધ થયા)એ સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ શરૂ કરી હતી. તેમનો હેતુ પછાત જાતિઓને અધિકાર નથી મળતા તેમને સમાન હક્ક અપાવવા. તમિલનાડુનો ઇતિહાસ સાક્ષી છે કે એ ચળવળે તમિલનાડુના આજના રાજકારણની દિશા નક્કી કરી હતી. તમિલનાડુના લોકો માટે આ નવો અવસર આવ્યો છે. જેમાં સરકાર અને રાજકીય સિસ્ટમ સામે નવેસરથી આંદોલન શરૂ કરી શકાય એમ છે. રાજ્યના નાગરિકો કલાનો આદર કરે, તેને સમજે જે કલાને મળવી જોઇએ. અત્યારે જ સમય છે એવા વિશ્વરૂપને તૈયાર કરવાનો જેની પાસેથી બાકીના ભારતને કંઇક શીખવા મળે.
લેખક પરિચય : રાધાકૃષ્ણન, બેંગલોરના કોમ્યુનિકેશન પ્રોફેશનલ છે.