વૈષ્ણો દેવી ટ્રેનને સુરક્ષા મંજુરી મળી, રેલવે બજેટ પહેલા શરૂ થશે
નવી દિલ્હી, 25 જૂન : વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને માટે આનંદના સમાચાર છે. રેલવે મંત્રાલયને આખરે રેલવે સુરક્ષા પંચ પાસેથી કટરા સુધી ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ટ્રેન સેવા રેલવે બજેટ પહેલા શરૂ કરી દેવામાં આવશે.
માતા વૈષ્ણોદેવીના દર્શન માટે દર વર્ષે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ ભક્તોને માતાના આશીર્વાદરૂપ સીધી ટ્રેન સેવા મળી ગઇ છે. રેલવે બજેટ 2014-15થી પહેલા આ સુચિત રેલવે સેવાની શરૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે.
આ માટે ઉધમપુર-કટરાના 25 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ઉદઘાટન આ મહિને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે પ્રધાન સંદાનંદ ગૌડા દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. રેલવે સુરક્ષા પંચ દ્વારા તમામ પાસામાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી બાદ હવે મંજૂરી આપી દેવામાં આવી છે.
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે રેલવે સુરક્ષા પંચે કેટલાક તાકીદના પગલાં લીધા હતા. આ તમામ પ્રશ્નોને દુર કરી લેવામાં આવ્યા બાદ હવે આ લાઇનને જરૂરી મંજૂરી મળી ગઇ છે. કટરા લાઇન કઇ તારીખે ખુલશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પરંતુ ટુંક સમયમાં આની જાહેરાત કરવામાં આવશે તેવું માનવામાં આવે છે.
રેલવે વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે આ લાઇનના શુભારંભની તૈયારી શરૂ થઇ ચુકી છે. મોદી સરકારનું પ્રથમ રેલવે બજેટ 8 જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ઉધમપુર-કટરા રૂટ પર પરિક્ષણરૂપે ટ્રેન દોડાવવામાં આવી ચુકી છે. જમ્મુ-ઉધમપુર વચ્ચે 53 કિલોમીટરની રેલ લાઇન પહેલા ચાલુ છે.
ઉધમપુર-કટરા લાઇન શરૂ કરવામાં આવ્યા બાદ ટ્રેન સીધી રીતે કટરા સુધી જશે. રેલવે મંત્રાલય દ્વારા જમ્મુ મેલ અને સંપર્ક ક્રાન્તિને કટરા સુધી લઇ જવાની વિચારણા કરવામાં આવી રહી છે.