ટૂંક સમયમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાશે : અમિત શાહ
અયોધ્યા, 6 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને ઉત્તર પ્રદેશનો હવાલો સંભાળનાર અમિત શાહે આજે અયોધ્યાની મુલાકાતે છે. તેમણે અયોધ્યા પહોંચીને જણાવ્યું કે ભાજપ ટૂંક સમયમાં જ અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્ણાણ કરશે.
અમિત શાહ પાર્ટીની એક બેઠક માટે અયોધ્યા આવ્યા છે. કારસેવક પુરમમાં બેઠકની અધ્યક્ષતા કરતા સમયે તેમણે કહ્યું કે "હું રામ લાલાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવ્યો છું. મેં દેશને કોંગ્રેસના સકંજામાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી છે. અમે ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવીશું અને ભગવાન રામને એમનું સાચું સ્થાન પાછું અપાવીશું."
અમિત શાહનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે તેમણે લોકસભા ચૂંટણી 2014ની તૈયારીના ભાગરૂપે અયોધ્યા મંદિર પ્રશ્ન ફરી ઉઠાવ્યો છે. એટલું જ નહીં, પણ વિવાદાસ્પદ અને ધ્વસ્ત કરાયેલી બાબરી મસ્જિદના સ્થળે મંદિર બાંધવાના પક્ષના વચનનો સ્પષ્ટપણે પુનરોચ્ચાર પણ કર્યો છે.
ભાજપે ઉત્તર પ્રદેશમાં પાર્ટીના સંગઠનને આઠ ઝોનમાં વહેંચી દીધા છે. આજે જે બેઠક મળી છે તે અવધ ઝોનની બેઠક મળી રહી છે. તેમાં ઉત્તર પ્રદેશના 14 જિલ્લાના 150 નેતાઓએ ભાગ લીધો છે.