7 એપ્રિલથી લોકસભા ચૂંટણીનો આગાઝ થવાનો છે. દેશમાં નવ તબક્કામાં ચૂંટણી થશે, જેના પરિણામ 16 મેના રોજ જાહેર કરી દેવામાં આવશે. 16 મેએ દેશની જનતાને ખબર પડી જશે કે દેશનું સુકાન કયા મહારથીના હાથમાં જવાનું છે. હાલ વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે અને કદાચ તેઓ ગુજરાતની કોઇ એક બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે. જો કે એ અન્ય મુદ્દો છે.
નરેન્દ્ર મોદીના નામની જાહેરાત વારાણસી બેઠક પરથી કરવામાં આવતા જ કોંગ્રેસના શકીલ અહેમદ દ્વારા એક ટીપ્પણી કરવામાં આવી હતી. તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટર થકી જણાવ્યું હતું કે, રાજનાથ સિંહએ કદાચ એ વિચારીને તો લખનઉની બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી નથી કર્યું ને કે ભાજપનો જે ઉમેદવાર લખનઉમાંથી વિજયી થાય છે તે વડાપ્રધાન બને છે? શકીલ અહેમદની આ ટીપ્પણી એક રીતે મોદી પર પ્રહાર સમી હતી, કારણ કે મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યાં છે અને બીજું એ કે તેમણે પોતાની આ ટીપ્પણીથી રાજનાથ સિંહ પણ ભાજપમાં પીએમ પદની રેસમાં હોવાનું ફલિત કર્યું હતું.
દેશના વડાપ્રધાન વારાણસીથી બનશે કે અન્ય કોઇ બેઠક પરથી એ તો 16 મેના રોજ ખબર પડી જશે. પરંતુ વડાપ્રધાન પદના ઇતિહાસ પર નજર ફરેવીએ તો અનેક એવી બેઠકો છે જેમણે દેશને વડાપ્રધાન આપ્યા છે. તો ચાલો તસવીરો થકી જવાહર લાલ નહેરુથી લઇને મનમોહન સિંહ સુધી કઇ બેઠકે દેશને વડાપ્રધાન આપ્યા છે તે જોઇએ.
જવાહરલાલ નહેરૂ
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂનો જન્મ 14મી નવેમ્બર, 1889ના રોજ થયો હતો. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યાં, ત્યારે તેમની ઉંમર 58 વર્ષ હતી. ફુલપુરથી સાંસદ હતા.
ગુલઝારીલાલ નંદા
ગુલઝારીલાલ નંદા દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતાં. તેઓ બે વાર ભારતના કાર્યવાહક વડાપ્રધાન બન્યા હતાં. તેમનો જન્મ 4થી જુલાઈ, 1898ના રોજ થયો હતો. સાબરકાંઠાથી સાંસદ હતા.
લાલ બહાદુર શાસ્ત્રી
જય જવાન-જય કિસાનનો નારો ગજવનાર લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2જી ઑક્ટોબર, 1904ના રોજ થયો હતો. અલ્હાબાદથી સાંસદ હતા.
ઇંદિરા ગાંધી
ઇંદિરા ગાંધીના નામે દેશમાં સૌથી લાંબો વખત શાસન કરવાનો રેકૉર્ડ છે. તેઓ ત્રણ વાર વડાપ્રધાન બન્યાં. તેમનો જન્મ 19મી નવેમ્બર, 1917ના રોજ થયો હતો. તેઓ રાય બરેલીથી સાંસદ હતા.
મોરારજી દેસાઈ
મોરારજી દેસાઈ દેશના બીજા ગુજરાતી વડાપ્રધાન હતાં. તેમનો જન્મ 29મી ફેબ્રુઆરી, 1896ના રોજ થયો હતો. સુરતથી સાંસદ હતા.
ચરણ સિંહ
ચરણ સિંહનો જન્મ 23મી ડિસેમ્બર, 1902ના રોજ થયો હતો. તેઓ બાઘપતથી સાંસદ હતા.
રાજીવ ગાંધી
ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી 1984માં વડાપ્રધાન બન્યાં. તેઓ સૌથી ઓછી વયે વડાપ્રધાન બનવાનો રેકૉર્ડ ધરાવે છે. તેમનો જન્મ પણ આઝાદી પહેલા એટલે કે 20મી ઑગસ્ટ, 1944ના રોજ થયો હતો. તેઓ અમેઠીથી સાંસદ હતા.
વિશ્વનાથ પ્રતાપ સિંહ
રાજીવ ગાંધી સાથે છેડો ફાડી વિશ્વનાથ પ્રતાપ સિંહ ભારતના વડાપ્રધાન બન્યા હતાં. તેઓનો જન્મ 25મી જૂન, 1931ના રોજ થયો હતો. તેઓ ફતેહપુરથી સાંસદ હતા.
ચંદ્રશેખર
ચંદ્રશેખર ચાર માસ માટે જ વડાપ્રધાન બની શક્યાં. તેઓનો જન્મ 1લી જુલાઈ, 1927ના રોજ થયો હતો. બાલિયાથી સાંસદ હતા.
પી. વી. નરસિંહ રાવ
પી. વી. નરસિંહ રાવનો જન્મ 28મી જૂન, 1921ના રોજ થયો હતો. નંદયાલથી સાંસદ હતા.
અટલ બિહારી બાજપાઈ
અટલ બિહારી બાજપાઈ ત્રણ વખત ભારતા વડાપ્રધાન પદે બિરાજ્યાં. તેમનો જન્મ 25મી ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો. લખનઉથી સાંસદ હતા.
એચ. ડી. દેવેગૌડા
એચ. ડી. દેવેગૌડાનો જન્મ 18મી મે, 1933ના રોજ થયો હતો. કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ હતા.
ઇંદ્રકુમાર ગુજરાલ
ઇંદ્રકુમાર ગુજરાલનો જન્મ 4થી ડિસેમ્બર, 1919ના રોજ થયો હતો. તેઓ બિહારથી રાજ્યસભાના સાંસદ હતા.
મનમોહન સિંહ
દેશના હાલના વડાપ્રધાન મનમોહન સિંહનો પણ આઝાદી પહેલા એટલે કે 26મી સપ્ટેમ્બર, 1932ના રોજ થયો હતો. તેઓ આસામથી રાજ્યસભાના સાંસદ છે.