Exclusive : મોદીએ ચૂક ન કરતાં ચૂંક ઉપડી જેડીયૂને !
અમદાવાદ, 7 જાન્યુઆરી : આજે અચાનક શિવાનંદ તિવારીજીને નરેન્દ્ર મોદીની યાદ આવી ગઈ. એકલાં શિવાનંદ જ પરેશાન નથી મોદીના મૌનથી. દરેક તે નેતા-વ્યક્તિ પરેશાન છે મોદીના મૌનથી કે જે તેમના વિરોધી છે. પોતાના ગુજરાતમાં હૅટ્રિક સર્જ્યા બાદ વાઇબ્રંટ ગુજરાત સમિટ 2013માં વ્યસ્ત મોદીનું દિલ્હી ગૅંગરેપ જેવા વાઇબ્રંટ મુદ્દે મૌન તેમના વિરોધીઓને એટલા માટે પણ અકળાવી રહ્યો છે, કારણ કે એક બાજુ મોદીને વડાપ્રધાન પદના ભાવી દાવેદાર તરીકે રજુ કરનારાઓની કમી નથી, તો બીજી બાજુ દેશને હચમચાવનાર આ મુદ્દા ઉપર મોદીના મૌનથી તેમના વિરોધીઓને તેમની ઉપર હુમલા કરવાની તક નથી મળી રહી.
હવે આ બાબતથી કોણ અજાણ છે કે આ દેશમાં મોદીને લોકસભા ચૂંટણી 2014માં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજુ કરવા સામે સૌથી મોટો વાંધો કોને છે? જોકે ભાજપના આ પગલાથી સૌથી વધુ નુકસાન તો કોંગ્રેસ અને તેના યુવરાજ રાહુલ ગાંધીને થવાની શક્યતા છે, પરંતુ તેમને આ ભાવી નુકસાન તો ચૂંટણી પરિણામો બાદ થશે. તેથી કોંગ્રેસ કે રાહુલનું એટલું બધું ન અકળાવું સ્વાભાવિક છે. અકળાઈ તે તેઓ ઉઠ્યાં છે કે જેઓ મોદીને ચૂંટણીકીય ફાયદા-નુકસાનથી કંઈક આગળ પોતાની વ્યક્તિગત રાજકીય મહત્વાકાંક્ષાઓના હિસાબે નુકસાન તરીકે જુએ છે.
શિવાનંદ તિવારી જનતા દળ યુ એટલે કે જેડીયૂના નેતા છે. તે જ જેડીયૂ કે જે બિહારમાં એકમાત્ર પોતાના મુખ્યમંત્રી નીતિશ કુમારની આસપાસ સંકોચાયેલું છે અને નીતિશ કુમારની મોદી સામે અદાવતથી કોણ અજાણ છે.
દિલ્હી ગૅંગ રેપ અંગે એક તરફ સમગ્ર દેશમાં નિવેદનબાજીનો વઘાર ચાલી રહ્યો છે, તો બીજી બાજુ મોદી વિરોધી માનસિકતા ધરાવનારાઓને આ મુદ્દે મોદીનું મૌન સતત અકળાવી રહ્યો હતો. તેઓ કોઈ પણ રીતે આ પ્રકરણમાં મોદીના નિવેદન રૂપી વઘારનો ઇંતેજાર કરી રહ્યા હતાં, પરંતુ તક મળતી નહોતી. આખરે જ્યારે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત આ નિવેદનબાજીના જંગમાં ઝંપલાવ્યાં, તો શિવાનંદ તિવારીને તક મળી ગઈ અને તેઓ ઉતાવળે બોલી પડ્યાં કે આ સમગ્ર પ્રકરણમાં મોદી કેમ મૌન છે. એક બાજુ તેમનું નામ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજુ કરાય છે અને તેઓ આરએસએસના સ્વયંસેવક પણ છે, તો તેમણે નિવેદન આપવું જોઇએ કે ભાગવતના અભિપ્રાય સાથે તેઓ સંમત છે કે નહીં?
હવે શિવાનંદ તિવારીને કોણ સમજાવે? મોદી હમણાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 જીત્યાં છે. સતત ત્રીજી વાર જીત્યાં છે. બીજું એ કે મોદીએ હૅટ્રિક બાદ ગત 27મી ડિસેમ્બરના રોજ પ્રથમ વાર દિલ્લી પ્રવાસમાં મીડિયાના સવાલોના જવાબમાં દિલ્હી ગૅંગ રેપ અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દાને રાજકારણથી પર જુએ છે.
મોદીએ પ્રત્યક્ષ રીતે આ મુદ્દાથી અંતર જાળવી રાખ્યો. આ તેમની વ્યુહરચના પણ હતી અને સફળ ચાણક્ય નીતિ પણ. મોદી જાણતા હતાં કે આ સંવેદનશીલ મુદ્દે વાતોના લવારિયા નહીં, પણ કાર્યવાહીની ગંભીરતાની જરૂર છે. આ જ કારણ છે કે ગુજરાતમાં મોદીએ મહિલાઓની સલામતી સાથે સંકળાયેલા અનેક પગલાં લીધાં. એટલું જ નહીં આ સમગ્ર પ્રકરણમાં મોદી સહિત સમગ્ર ગુજરાત સરકારે વ્યુહાત્મક મૌન ધારણ જાળવી રાખ્યું.
મોદી હાલ ગુજરાતમાં વાઇબ્રંટ ગુજરાત સમિટના આયોજનમાં વ્યસ્ત છે. એવામાં તેમના વિરોધીઓને તેમનું મૌન પોસાઈ નથી રહ્યું. વિરોધીઓ ઇચ્છે છે કે મોદી પણ નિવેદનબાજીના આ જંગમાં ઝંપલાવે અને કોઈ ચૂક કરે કે જેથી તેમની ઉપર હુમલો કરવાની તક મળે, પરંતુ મોદીનું વ્યુહાત્મક મૌન સ્પષ્ટ સંદેશ આપે છે કે હાલ તેઓ આ મુદ્દે કોઈ પ્રત્યાઘાત નહીં આપે અને વિરોધીઓને કોઈ પણ પ્રકારના હુમલાની તક નહીં આપે.
જેડીયુ નેતા શિવાનંદ તિવારીના હૃદયની ચૂંક સમજી શકાય છે. હકીકતમાં તિવારી તો માત્ર મુખવટા છે. તેમના ચહેરા પાછળ નીતિશ કુમાર છે. આ સમજવું મુશ્કેલ નથી. જેડીયુ અને નીતિશ કુમાર તાગમાં જ છે કે મોદી દિલ્હી ગૅંગ રેપ પ્રકરણમાં કોઈ ચૂક કરે કે જેથી તેમની 2014માં વડાપ્રધાન પદની દાવેદારી નબળી પડે, પરંતુ તેઓ કદાચ નથી જાણતાં કે તેમનો પાલો એક ગુજરાતી ભાયડા સાથે પડ્યો છે કે જે સરળતાપૂર્વક કોઈના સકંજામાં આવતો નથી.