રાહુલ ગાંધીએ મોદીને કહ્યા જવાનોના લોહીના દલાલ, ભાજપે કર્યો વળતો પ્રહાર
રાહુલ ગાંધીએ સર્જીકલ સ્ટ્રાઇક બાદ ભાજપના અમુક નેતાઓ તરફથી ઠેર-ઠેર સર્જીકલ સ્ટ્રાઇકના લગાવેલા પોસ્ટરનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતુ કે ભાજપ જવાનોના લોહીની દલાલી કરી રહ્યુ છે. આ નિવેદન બાદ તેમના પર વિરોધીઓએ નિશાનો સાધવાનું શરુ કરી દીધુ હતુ. આ નિવેદન માટે રાહુલ ગાંધીની ખૂબ જ નિંદા કરવામાં આવી.
ભાજપે કર્યો વિરોધ
ભારતીય જનતા પક્ષે રાહુલ ગાંધીના આ નિવેદન પર સખત વિરોધ નોંધાવ્યો. રાહુલની આ ટીપ્પણી પર ભાજપના મહાસચિવ શ્રીકાંત શર્માએ કહ્યું કે આ રાહુલ ગાંધીનુ માનસિક દેવાળિયાપણુ છે. શર્માએ જણાવ્યું કે આપના જે સૈનિકો શહીદ થયા છે, જે આતંકવાદનો શિકાર બન્યા છે આ નિવેદન તેમનુ અપમાન છે. શર્માએ જણાવ્યુ કે એક તરફ સર્જીકલ સ્ટ્ર્રાઇક બાદ ભારતીય સેના અને પીએમ મોદીની પ્રશંસા થઇ રહી છે તો બીજી તરફ રાહુલનુ નિવેદન તેમની હતાશાને પ્રદર્શિત કરે છે.
અરવિંદ કેજરીવાલે કરી રાહુલના નિવેદનની ટીકા
માત્ર ભાજપ જ નહિ પરંતુ આમ આદમી પાર્ટીએ પણ રાહુલ ગાંધીના નિવેદનની આકરી ટીકા કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જવાનોના લોહીની દલાલી વાળા નિવેદનની આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતા તેમણે જણાવ્યું કે ભારતીય સેનાના મામલે બધાએ એક સાથે રહેવાની જરુર છે. તેમણે જણાવ્યું હતુ કે રાહુલે જવાનો માટે દલાલી જેવા શબ્દનો ઉપયોગ નહોતો કરવો જોઇતો.
શું કહ્યું હતુ રાહુલ ગાંધીએ
દેવરિયાથી દિલ્હી સુધીની ખેડૂત યાત્રા દરમિયાન રાહુલની યાત્રા બુધવારે દિલ્હી પહોંચી. આ દરમિયાન રાહુલે પોતાના ભાષણમાં કહ્યું કે આપણા જવાનોએ દેશને બચાવવા પોતાનુ લોહી રેડ્યુ છે, સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. તેમના લોહી પાછળ મોદી છૂપાયેલા છે. આ દરમિયાન રાહુલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાનોના લોહીની દલાલી કરે છે.
આટલી ટીકા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે તેઓ સર્જીકલ સ્ટ્રાઇકનું સંપૂર્ણ સમર્થન કરે છે પરંતુ રાજકીય પોસ્ટરોમાં ભારતીય સેનાના ઉપયોગને તેમણે ખોટો ગણાવ્યો હતો.