રેલવે ભાડામાં વધારા મુદ્દે ઉદ્ધવ ઠાકરેનો યૂટર્ન
મુંબઇ, 23 જૂનઃ રેલવે ભાડામાં કરવામાં આવેલા વધારાનો વિરોધ કરી રહેલા શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ યૂટર્ન લઇ લીધો છે. ઉદ્ધવે રેલવે ભાડામાં કરેલા વધારાના નિર્ણયનું ખુલ્લું સમર્થન કરતા કહ્યું છેકે રેલવે સફેદ હાથી થઇ ચૂક્યું છે અને તેને સંભાળવું સહેલું નથી. તેમણે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી પાસે કોઇ જાદૂની છડી નથી કે તેઓ એક પળમાં બધુ જ ઠીક કરી નાંખે.
સામનામાં લખવામાં આવ્યું છેકે રેલવેની હાલત ખરાબ છે, તે એક એવો સફેદ હાથી બની ગયું છે, જેને સંભાળવું મુશ્કેલ છે અને મોદી પાસે એવી કોઇ જાદૂની છડી નથી કે તેઓ 2 થવા પાંચ દિવસમાં બધુ ઠીક કરી નાખે. છેલ્લા 10 વર્ષોમાં યાત્રી ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી અને યાત્રી ભાડામાં આપવામાં આવી રહેલી સબ્સિડીના કારણે મંત્રાલયને 28 હજાર કરોડ રૂપિયાનું નુક્સાન થઇ રહ્યું છે. તેવામાં યાત્રીઓને જો સુરક્ષા આપવી છે, સુવિધા આપવી છે અને એક યોગ્ય માહોલ બનાવવો છે તો ભાવ વધારાના ભારને ઉઠાવવો પડશે.
તેમણે એમ પણ કહ્યું કે, મુંબઇની વધેલી આબાદી, ટ્રેનોમાં વધતી ભીડ, ફેઇલ થતાં સિગ્નલ અને રેલવે સિસ્ટમની હાલત સુધારવા માટે આ ભાડું વધારવું જરૂરી હતું. એટલું જ નહીં વિશ્વની સામે સૌથી ખરાબ રેલવે સેવામાં સામેલ ભારતીય રેલવેના સ્તરને વધારવા માટે પણ ભાડું વધારવું જરૂરી હતું. સામનામાં મોદીના વખાણ કરતા કહેવામાં આવ્યું છેકે, મોદીના રાજમાં સારા દિવસો આવવાના છે અને તે આવશે, પરંતુ થોડોક સમય લાગશે. તેથી વિશ્વાસ રાખો. સાથે જ આ ભાડા વધારો અંતિમ હોય તેવી જનતાની પણ મોદી સરકારથી અપેક્ષા છે.