સાર્ક સંમેલન હાલ પૂરતું થયું રદ્દ, પીએમ મોદીની ચાલ થઇ સફળ
ઉરી આતંકી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં એક રેલી કરી હતી. જેમાં તેમણે પાકિસ્તાનને લલકારતા કહ્યું હતું કે ભારત, પાકિસ્તાનને દુનિયાને એકલું પાડી દેશે. ત્યારે લાગે છે કે નરેન્દ્ર મોદીના હવે પોતાની વાત પર ખરા ઉતરવા માટે તત્પર બન્યા છે. અને તેમની વિદેશ રણનીતિ પણ કંઇક આ જ વાત તરફ દોરી સંચાર કરી રહી છે. જેનું તાજું ઉદાહરણ છે સાર્ક સંમેલન....
ભારતના સમર્થનમાં આવ્યા 3 દેશ, નહીં જાય પાક. સાર્ક સંમેલનમાં
પાકિસ્તાનમાં યોજાનારું સાર્ક સંમેલન હાલ પુરતું રદ્દ કરવામાં આવ્યું છે. કારણ કે સાર્ક સંમેલનના નિયમ મુજબ જો સાર્ક દેશો તેમાં ભાગ નથી લેતા તો સંમેલન રદ્દ થઇ જાય છે. અને ભારત બાદ ત્રણ દેશોએ પણ આ વાતે નનૈયો ભરતા પાકિસ્તાન માટે આ કાર્યક્રમનું રદ્દ થવું તેની એક મોટી અસફળતા સાબિત થઇ ચૂકી છે. તો કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાલ સફળ થઇ તે અંગે વિસ્તૃત માહિતી વાંચો અહીં.
એશિયા માટે મહત્વપૂર્ણ છે સાર્ક
સાર્ક સંમેલન ગત કેટલાક સમયથી એશિયા માટે મહત્વપૂર્ણ આંતરાષ્ટ્રિય મંચ બની ગયું છે. એટલું જ નહીં આ કારણ છે કે ચીન પણ તેનો હિસ્સો બનવા માંગે છે. ગત વર્ષે નેપાળની રાજધાની કાઠમાંડુમાં સાર્ક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ વર્ષે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આ સંમેલન થવાનું છે. આતંકી હુમલા બાદ મંગળવારે ભારતે સ્પષ્ટ પણે કહી દીધું કે ભારત હવે આ સંમેલનમાં ભાગ નહીં લે.
ભારત સિવાય સાર્કનો મતલબ નહીં
નોંધનીય છે કે સાર્ક સંમેલન પર ભારતની મોટી પકડ ધરાવે છે. વળી ભારતની ના પાડતા જ અફધાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન અને શ્રીલંકાએ પણ આ સમંલનમાં ભાગ લેવાની ના પાડી છે. શ્રીલંકાએ તો ત્યાં સુધી કહ્યું કે ભારત તેમાં ભાગ નથી લઇ રહ્યું તો પછી સંમેલન કરવાનો મતલબ જ શું છે?
અલગ પડ્યું પાકિસ્તાન
એટલું જ નહીં ભારતના આ પગલાથી દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને જે સમર્થન મળતું હતું તે પણ હવે નબળુ પડતું દેખાઇ રહ્યું છે.
રદ્દ થયું સાર્ક સંમેલન- સુત્ર
સાર્ક એટલે કે સાઉથ એશિયન એસોશિયેશન ફોર રીજનલ કોઓપરેશન એક તેવું સંગઠન છે જેમાં તમામ સદસ્યોનું ભાગ લેવું જરૂરી છે. જો એક દેશ પણ ભાગ નથી લેતો તો આ સંમેલન રદ્દ કરવામાં આવે છે. ત્યારે સુત્રોથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં યોજવામાં આવેલ સાર્ક સંમેલનને રદ્દ કરવામાં આવ્યું છે.
જે કોઇએ નહતું કર્યું તે નવાઝે કર્યું
નોંધનીય છે કે પાકિસ્તાન ત્રીજી વાર સાર્ક સંમેલન માટે મેજબાન દેશ બનવાનો હતો. 1988માં બેનજીર ભુટ્ટોએ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આ સંમેલનનું આયોજન કર્યું હતું. તે બાદ 2004માં બીજી વાર પીએમ જફરુલ્લા ખાન જમાલીની હાજરીમાં આ સંમેલન યોજવામાં આવ્યું હતું. નવાઝ શરીફના નેતૃત્વમાં પાકિસ્તાન ત્રીજી વાર આ સંમેલન કરવાનું હતું પણ હવે તે આશ પણ નઠારી સાબિત થતા આ સમગ્ર વાતને આવનારા સમયમાં પાકિસ્તાનની મોટી અસફળતાની રીતે જોવામાં આવશે.