કસાબની ફાંસીને કારણે પાકિસ્તાની પ્રધાનની ભારત મુલાકાત રદ થઇ હતી?
પાકિસ્તાનના અગ્રણી અખબાર 'ધ ડૉન' દ્વારા અજમલ કસાબની દયાઅરજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ફગાવી દીધા બાદ આજે સવારે ફાંસી આપવામાં આવી હોવાના સમાચાર લીધા હતા. આ સિવાય અન્ય કોઇ ઉલ્લેખ કે પાકિસ્તાન સરકારની પ્રતિક્રિયા આવરી ન હતી.
પાકિસ્તાનના જ એક અન્ય અખબાર 'ધ ન્યુઝ ઇન્ટરનેશનલ'માં પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણના શબ્દોને ટાંકીને કસાબને ફાંસી આપી યરવડા જેલના પરિસરમાં દફનાવવામાં આવ્યો તેવા સમાચાર આપ્યા હતા.
ચીનના જ અખબાર 'ગ્લૉબલ ટાઇમ્સે' કસાબને ફાંસીના સમાચાર આપવાની સાથે આ પગલું વડાપ્રધાન મનમોહન સિંહની કંબોડિયામાં મળેલી ASEAN સમિટ બાદ લીધી હોવાનું પણ નોંધ્યું છે. તેણે નોંધ્યું છે કે કસાબને ફાંસી બાદ ભારત ઇચ્છતું ન હતું કે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ ભારત આવે. આ કારણે જ પાકિસ્તાનના પ્રધાન રહેમાન મલિકની 22 નવેમ્બરની ભારત મુલાકાત રદ કરવામાં આવી હતી. ચીનના અખબાર 'ચાઇના ડેઇલી'એ પણ અજમલ કસાબને ફાંસીની સામાન્ય નોંધ લીધી છે.
જો કે પાકિસ્તાન સિવાય વિશ્વના અન્ય મીડિયા હાઉસ દ્વારા આ ઘટનાની વિશેષ નોંધ લેવામાં આવી છે. અમેરિકાના 'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ'માં ટૉમ રાઇટે ભારતે કસાબને ફાંસી આપવાની પ્રક્રિયા ખૂબ ગોપનીય રીતે અને ઝડપથી પૂરી કરી હોવાની ખાસ નોંધ લીધી છે. ટૉમ રાઇટે જ અન્ય એક આર્ટિકલમાં કસાબ બાદ અન્ય કેટલા દોષિતોને ફાંસી બાકી છે તેની નોંધ લીધી છે. 'ન્યુ યોર્ક ટાઇમ્સ'માં પણ ભારત સરકારની પ્રેસ નોટને ટાંકીને ફાંસી આપવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હોવાની નોંધ લીધી છે.
બ્રિટનના સમાચાર પત્ર 'ધ ટાઇમ્સ'માં નોંધ લઇને લખવામાં આવ્યું છે કે ભારતે 2008ના આતંકવાદી હૂમલાના એક માત્ર જીવિત દોષિતને ફાંસીએ લટકાવ્યો. પોતાના સમાચારમાં તેમણે કસાબ સામે કેસ લડનાર વકીલ ઉજ્જવલ નિકમની તસવીર પણ પ્રકાશિત કરી છે. લંડનના અખબાર 'ધ ગાર્ડિયન'માં કસાબને ફાંસીની સામાન્ય નોંધ લેવામાં આવી છે.