આ પાંચ ભારતીય ખેલાડીઓ વિશ્વકપ માટે કરી શકે છે કમબેક
2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ખાતે આઇસીસી વિશ્વકપ યોજાનારો છે. 2011નો વિશ્વકપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પર વિશ્વકપની ટ્રોફી જાળવી રાખવા અને ગયા વિશ્વકપ જેવું પ્રદર્શન કરવાનું દબાણ છે. ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોએ એ માટેની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. ઇંગ્લેન્ડ સામેના પ્રવાસ દરમિયાન અને હવે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે શ્રેણી દરમિયાન એક નવી જ ટીમ ઇન્ડિયાને ઉતારવામાં આવી છે, જેમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓને છોડીને અન્ય ખેલાડીઓ યુવા છે.
જોકે વિશ્વકપ જેવી મોટી ઇવેન્ટ યોજાતી હોય ત્યારે તેમાં ટીમમાં યુવા ખેલાડીઓની સાથે અનુભવી ખેલાડીઓની પણ જરૂર રહે છે. હાલ ટીમમાં યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીર જેવા ખેલાડી નથી, પરંતુ બની શકે છેકે 2015ના વિશ્વકપમાં યુવી અને ગૌતમ ગંભીર ટીમનો હિસ્સો બની શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે 2015ના વિશ્વકપમાં ભારતીય ટીમમાં કયા કયા ખેલાડીઓ ટીમમાં પુનરાગમન કરી શકે છે.
ગૌતમ ગંભીર
એક સમયે ભારતીય ટીમ માટે ઓપનિંગ કરતો ગૌતમ ગંભીર આજે ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તેને તક મળી હતી પરંતુ તે ખરો ઉતરી શક્યો નહોતો. હવે 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ખાતે વિશ્વકપ રમાનારો છે અને ટીમ પસંદગીકારો ભારતીય ટીમમાં ત્રીજા સ્પેશિયલિસ્ટ ઓપનિંગ બેટ્સમેન તરીકે ગૌતમ ગંભીરને ટીમમાં સ્થાન આપી શકે છે. જોકે નવેમ્બરમાં રમાનારી દેવધર ટ્રોફી અને ડિસેમ્બરમાં યોજાનારી રણજી ટ્રોફીમાં તે કેવું પ્રદર્શન કરે છે, તેના પર આધાર રાખે છે.
ઝહીર ખાન
આવતા વર્ષે યોજાઇ રહેલા વિશ્વકપમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ઝડપી બોલર્સ તરીકે ઝહીર ખાન પણ કમબેક કરી શકે છે. હાલ તે ખરાબ ફોર્મ અને ઇજાઓનો સામનો કરી રહ્યો છે, પરંતુ ગયા વિશ્વકપમાં તેણે 21 વિકેટ લીધી હતી. નોંધનીય છેકે તેણે છેલ્લે 2012માં ભારત તરફથી વનડે ક્રિકેટ રમી હતી.
યુવરાજ સિંહ
યુવરાજ સિંહ હાલ ભલે ટીમ ઇન્ડિયાની બહાર હોય પરંતુ એ વાતને કોઇ અવગણી શકે તેમ નથી કે તે એક શ્રેષ્ઠ મેચ વિનર ખેલાડી છે અને તેના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ભારતે 2011નો વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. એવી આશા રાખવામાં આવી રહી છેકે ટીમ ઇન્ડિયા જ્યારે 2015માં વિશ્વકપ રમવા માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જશે ત્યારે ટીમમાં યુવરાજ સિંહને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
ઇરફાન પઠાણ
વડોદરાનો આ ખેલાડી એક સારો બોલર છે અને તેણે ભારત માટે અનેક મેચોમાં વિજયી પ્રદર્શન કર્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી તે ખરાબ ફોર્મના કારણે ટીમની બહાર છે, તેમ છતાં તેને ટીમ ઇન્ડિયાની વિશ્વકપ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.
રોબિન ઉથપ્પા
કર્ણાટકનો ઓપનિંગ બેટ્સમેન ચોક્કસપણે પોતાના આઇપીએલના પ્રદર્શન થકી ટીમ ઇન્ડિયાની વિશ્વકપ માટેની ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરાવી શકે છે. તેણે આઇપીએલની 014ની શ્રેણીમાં કોલકતા નાઇટ રાઇડર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિશ્વકપ માટે ટીમને મજબૂત બનાવવા માટે તેનો સમાવેશ કરવામાં આવી શકે છે.