બીસીસીઆઇ પર ભડક્યા ઇડન ગાર્ડનના પિચ ક્યુરેટર
પ્રબીરે કહ્યું છે કે હું બીસીસીઆઇના ઇરાદાઓથી ઘણો દુઃખી છું. આ તો એવું છે કે શાળાના પ્રિન્સિપાલ પોતાના છાત્રોને નકલ કરવાનું કહીં રહ્યા હોય. જ્યારે પરિક્ષા એ જ શાળામાં થવાની છે. આ આખા મામલાથી મારું સ્વાસ્થ્ય બગડ્યું છે. મેં હજુ રાજીનામું આપ્યું નથી, પરંતુ એક મહિનાની રજા માંગી છે. મને હાલની સ્થિતિ પસંદ નથી. હું બંગાળ ક્રિકેટ એસોશિએશનથી પણ નારાજ છું, કારણ કે તેમણે મારો સાથ આપ્યો નથી. હું એ વાત સાથે સહમત નથી કે કોઇના કેહવા પર પિચ બદલવામાં આવે. આ અનૈતિક છે.
નોંધનીય છે કે, આ મામલો ધોનીના નિવેદન પછી શરૂ થયો છે. ધોની સતત સ્પિનર્સને મદદરૂપ પિચની માંગ કરી રહ્યો છે. ધોની માંગ બાદ મુંબઇના વાનખેડે સ્ટેડિયમની પિચ ટર્નિંગ બનાવવામાં આવી, પરંતુ ભારતનો આ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી પરાજય થયો. છતાં પણ ધોની પોતાની માંગ પર અડગ રહ્યો અને કોલકતામાં ટર્નિંગ પિચની માંગ કરી.
ધોનીની આ માંગ છતાં ઇડન ગાર્ડનના ચીફ ક્યુરેટર પ્રબીર મુખરજીએ ટર્નિંગ પિચ તૈયાર કરવાનો ઇન્કાર કરી દીધો. ત્યાર બાદ બીસીસીઆઇએ ત્રિપુરાથી બીજો પિચ ક્યુરેટર આશીષ ભૌમિકને બોલાવ્યો, હાલ આશિષ ભૌમિક ઇડન ગાર્ડનની પિચ તૈયાર કરી રહ્યાં છે આગામી ટેસ્ટ 5 ડિસેમ્બરે શરૂ થવાની છે.