યુવી-ભજ્જીને બલીનો બકરો બનાવાયાઃ ગાવસ્કર
ગાવસ્કરે એક ટીવી ચેનલને આપેલા કાર્યક્રમમાં કહ્યું છે કે જો તમે મને પૂછશો તો ઝહીરના પડતો મુકવો યોગ્ય હતો, પરંતુ મારા મતે યુવરાજ અને હરભજનને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે.
ગાવસ્કરે કહ્યું કે જો તમે મુંબઇ ટેસ્ટમાં હરભજનના પ્રદર્શનને જોશો તો તેણે માત્ર 20 કે 21 ઓવર બોલિંગ કરી અને બે વિકેટ લીધી હતી. ભારત મુંબઇમાં હારી ગયુ તો તેની પાછળ સામુહિક નિષ્ફળતા જવાબદાર હતી. યુવરાજે 30 કરતા વધારે રના બનાવ્યા. તમે જો આ ખેલાડીઓને હટાવવા માંગો છો તો પછી એ લોકોને કેમ નથી હટાવતા કે જે સારું પ્રદર્શન નથી કરી રહ્યાં. યુવરાજ અને હરભજન બલીનો બકરો બન્યા છે.
ગાવસ્કરે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વનો બચાવ કરતા કહ્યું કે તેમને હટાવવાનો નિર્ણય ઉતાવળમાં ના કરવો જોઇએ. પૂર્વ મહાન ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે સુકાની એટલો જ સારો હોય છે જેટલી તેની ટીમ. મારા મતે હાલ આપણી પાસે ધોનીનો કોઇ વિકલ્પ નથી.