સોનની માંગ : RBI જશે મંદિરોના શરણમાં
વિદેશી મુદ્રાને બચાવવા માટે આરબીઆઇએ સોનાની આયાત પર મૂકેલા નિયંત્રણોને પગલે સોનાની આયાત કરવી મુશ્કેલ બની છે. જેના કારણે ભારતીયોની સોનાની માંગ પૂરી કરવા માટે આરબીઆઇ તિરૂપતિ અને શિરડી જેવા મંદિરોના શરણે જશે અને તેમને પોતાનું સોનુ વેચવા માટે કહેશે.
આ માટે રિઝર્વ બેંક વાતચીત કરી રહ્યું છે. બીજી તરફ મંદિરના ટ્રસ્ટોને આ માટે કેવી રીતે મનાવવામાં આવે તે અંગેના ઉપાય પણ તે શોધી રહી છે. આ પ્રક્રિયાથી અવગત બે બેંકરોએ આ માહિતી આપી છે.
દેશમાં સોનાની સર્વાધિક માલિકી ધરાવતા મંદિરોમાં આંધ્રપ્રદેશના તિરૂપતિ, મહારાષ્ટ્રના શિરડી સાંઇબાબા મંદિર, મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર અને તિરુવનંતપુરમનું પદ્મનાભસ્વામી મંદિર સૌથી આગળના ક્રમે આવે છે. તેમની પાસે ઘણું સોનું અને કિંમતી ધાતુઓ છે. તેમાંથી અનેક મંદિરોના ટ્રસ્ટના એકાઉન્ટ બેંકો જ મેનેજ કરે છે.
આ કારણે રિઝર્વ બેંકને આશા છે કે આ બેંકો મંદિરોના ટ્રસ્ટોને પોતાની ગોલ્ડ ડિપોઝિટને કેશમાં રૂપાંતરીત કરવા માટે તૈયાર કરી શકે છે. જો કે આ ડીલ ફાઇનલ થશે કે નહીં તે અંગે અત્યારે કંઇ પણ કહી શકાય એમ નથી.
તિરૂપતિ મંદિર પાસે અંદાજે 1000 ટન સોનુ છે. આ વર્ષે દેશમાં કુલ જેટલુ સોનુ આયાત કરવાની આશા છે તેનાથી આ બમણું છે. ભારતમાં કુલ 18000થી 30000 ટન સોનુ હોવાનો અંદાજ છે.