'ભારત નાણાકીય સ્થિતિ સુધારવા તેલની ઘટેલી કિંમતનો ફાયદો ઉઠાવે' : વર્લ્ડ બેંક અધિકારી
નવી દિલ્હી, 8 જાન્યુઆરી : વૈશ્વિક બજારોમાં ઘટેતી ક્રુડ તેલની કિંમતોએ ભારત માટે નવી તક ઉભી કરી છે. ક્ુડની ઘટેલી કિંમતોની મદદથી ભારત પોતાની નબળી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મદદ મેળવી શકે છે. આ અંગે કિમીયો આપતા વિશ્વ બેંક (World Bank)ના એક અધિકારીએ જણાવ્યું કે તેલની ઘટેલી કિંમતોનો લાભ લેવા સરકાર સબસિડી ઘટાડીને આર્થિક સુધારાઓને વેગ આપી શકે છે.
આ અધિકારીનું માનવું છે કે આર્થિક સુધારાઓ દેશની આર્થિક વૃદ્ધિને વેગ આપશે. જેના કારણે ભારતને ભાવિ આર્થિક મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ મળશે. કારણ કે તેલની ઘટતી કિંમતોની અસર વિવિધ દેશો પર અલગ અલગ હશે.
વર્લ્ડ બેંકના અધિકારીએ જણાવ્યું કે ભારત જેવા દેશ માટે તેલની ઘટતી કિંમતો તક સમાન છે. તેને ઝડપી લેવી જડોઇએ. તેની મદદથી આર્થિક સ્થિતિ સુધારી શકાય એમ છે. જેના કારણે અન્ય પ્રકારના સુધારણા કાર્યો પાછળ ખર્ચ કરી શકાશે.
આ વાત વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કૌશિક બસુએ જણાવી છે. નોંધનીય છે કે વર્લ્ડ બેંકમાં આવતા પહેલા બસુ ભારત સરકારમાં મનમોહન સિંહની આગેવાનીવાળી યુપીએ સરકારના ચીફ ઇકોનોમિક એડવાઇઝર હતા.
કૌશિક બસુએ જણાવ્યું કે 'મને આશા છે કે ભારત તેલની ઘટેલી કિંમતોનો ફાયદો ચોક્કસ ઉઠાવશે. આ ઘટેલા ભાવ હજી પણ નજીકના ભવિષ્યમાં યથાવત રહેશે. આ વખતે વર્ષ 2008માં થયું હતું કે તેલના ભાવ ઘટીને 6 મહિનામાં વધ્યા હતા તેવું નહીં બને. અમારું માનવું છે કે આ વખતે તેલના ભાવ ઓછામાં ઓછા એક વર્ષ અને તેથી વધારે સમય માટે ઘટેલા રહેશે.'
તેમણે કહ્યું કે 'ભારત 5 ટકાનો વૃદ્ધિ દર ઘરાવે છે. તેણે વધારે આર્થિક સુધારા અમલમાં મુકવા જોઇએ. જેના કારણે આર્થિક વૃદ્ધિ દર ઝડપથી વધી શકશે. ભારતે ઓઇલ સબસિડી પાછળ વધારે નાણા ખર્ચવાની જરૂર નથી.જો આ સમયે સબસિડી ઘટાડવામાં આવશે તો પણ ભારતમાં તેલની કિંમતો ખાસ નહીં વધે.'